કમળાબહેન પટેલકૃત ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે વાર્તાલાપ (શનિવાર, 03 ફેબ્રુઆરી 2024)

મૂળ સોતાં ઊખડેલાં : કોમવાદી દીવાલમાં સમસંવેદનની બારી

– પાર્થ પંડ્યા

વર્ષ 2022માં ‘નવજીવને’ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઊખડેલાં’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે સંતોષ એ વાતનો હતો કે આ દસ્તાવેજી કૃતિ ફરી એક વાંચકવર્ગ સુધી પહોંચશે. આજે આ પુસ્તક નિમિત્તે જ વાત કરવી છે, પણ વાત લગાર બીજા છેડેથી શરૂ કરવાનું મન થાય છે.

“इन बंद कमरों में मेरी साँस घुटी जाती है
खिड़किया खोलता हूँ तो ज़हरीली हवा आती है”

પાર્થ પંડ્યા

કોઈક ગુમનામ શાયરની આ પંક્તિઓ જાણીતા સાહિત્યકાર અને હિંદી કથાવિશ્વમાં ‘નઈ કહાની’નો ચીલો ચીતરનાર લેખકો પૈકીના એક કમલેશ્વર, તેમની ‘કિતને પાકિસ્તાન’ નવલકથાના પ્રારંભે આખી નવલકથાના માણેકથંભની પેઠે મૂકે છે. જ્યારે આ નવલકથા લખાઈ ત્યારે (વર્ષ 1990થી 2000 દરમિયાન) ભારતમાં અને દુનિયાના અનેક ખૂણે એવી ઘટનાઓ ઘટી રહી હતી કે કમલેશ્વરનો શ્વાસ ‘ઝેરી હવા’થી રૂંધાતો હતો. આજે અઢી દાયકા પછી કાળચક્ર ફરીને ત્યાં જ આવીને ઊભું છે, અથવા તો એ યુગની મ્લાન છાયા હજી સુધી ખસી જ નથી. ગાઝા, યુક્રેન અને અફઘાનિસ્તાનમાંથી ઊઠેલી ઝેરી હવા દુનિયાનો શ્વાસ રૂંધી રહી છે. તો ભારતમાં સ્થિતિ લગીરે જુદી નથી; સુદૂર મણિપુર, લદ્દાખ અને કાશ્મીરના લોકોનો શ્વાસ ઝેરી હવા રૂંધી રહી છે અને ખેડૂતોનો શ્વાસ પણ રૂંધાયો છે.

આની લગોલગ ભારતના ખૂણે-ખૂણે કોમવાદની ઝેરી હવા પ્રસરી રહી છે. એથી જ આજે કમળાબહેન પટેલની એવી અનુભવકથા વિશે વાત કરવી છે, જેમાંથી કોમવાદે રચેલી વિભીષિકા અને એની વચ્ચે પાંગરેલાં સમસંવેદન અને સમાજિક નિસ્બતનાં મૂલ્યોનું ચિત્ર ઊપસી આવે છે. આપણે આજે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યારે આપણી સંવેદનાઓ selective બની ગઈ છે. દશા એવી છે કે આપણે સંવેદનશીલ થતાં પહેલાં જ્ઞાતિ, ધર્મ, દેશ અને બીજું પણ કેટકેટલું જોવા લાગ્યા છીએ. એટલે આ પરિસ્થિતિમાં કમળાબહેન પટેલની અનુભવકથા ‘મૂળ સોતાં ઊખડેલાં’ને જરા જુદી રીતે જોવાનું મન થાય છે.

મૂળમાંથી ઊખડેલાં

કોમવાદનું અત્યંત વરવું રૂપ આપણે 1947માં જોયું, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને એની જાહેરાત પૂર્વે જ ઠેકઠેકાણે કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એ ક્રમ ભાગલા પછી પણ મહિનાઓ સુધી ચાલતો જ રહ્યો હતો. સર સિરીલ રેડક્લિફે ખેંચેલી વિભાજનરેખાએ નકશા અને ભૂખંડની સાથોસાથ માણસોને પણ વહેંચી દીધા. ગુજરાતીના જાણીતા વિવેચક પ્રો. ભરત મહેતા પ્રમાણે, “વિભાજન કેવળ ક્ષિતિજોનું (horizontal) નથી થયું, નકશાને આરપાર ઊભું ચીરતું (Vertical) પણ થયું છે. વિભાજનોત્તર વિભાજન ચિંતાનો વિષય છે.” 1 આ ખૂનરેજી વચ્ચે સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોનો શાબ્દિક ચિતાર આપવો લગભગ અશક્ય છે. પાંચથી છ લાખ લોકો માર્યા ગયા, એક કરોડ 40 લાખ જેટલા લોકો શરણાર્થી બન્યા, એક લાખ કરતાં પણ વધારે યુવતીઓનાં અપહરણો થયાં હતાં; આ આંકડા તો ફક્ત પંજાબના જ છે એવું લેનાર્ડ મૉશલેએ દૃઢપણે કહ્યું હતું. અસંખ્ય કુટુંબો વેરવિખેર થઈ ગયા. કેટલા ય લોકો પોતાનાં સ્વજનો, મિત્રો, પરિવાર, વતનથી ઊખડી ગયા. લોહીની નદીઓ, લાશોના ઢગ વચ્ચે હિજરતો ચાલતી હતી.

ઇતિહાસનું પુનરાવર્તન

સ્પેનિશ-અમેરિકન ફિલસૂફ જ્યૉર્જ સાન્તાયાના કહે છે એ પ્રમાણે, “Those who cannot remember the past are condemned to repeat it.” 2 (જે લોકો ભૂતકાળને યાદ રાખવાનું ચૂકી જાય છે, એ લોકો તેને દોહરાવાની સજા ભોગવે છે.) 1947ના ઘટનાક્રમને યાદ રાખવાનું આપણે ચૂકી ગયા છીએ અને એની સજા આપણે ભોગવી છે. વર્ષ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ અને એ દરમિયાનનાં રમખાણો, 2002નાં ગુજરાતનાં રમખાણો, ભિવંડીનાં રમખાણો – આ તમામ એના દાખલા છે. એટલે જ તો જ્યારે-જ્યારે કોમવાદે માથું ઊચક્યું છે, ત્યારે-ત્યારે સર્જકોએ ફરીફરીને પરોક્ષ રીતે આપણને સાન્તાયાનાની વાત યાદ કરાવી છે. ભિવંડીમાં રમખાણો થાય અને ભીષ્મ સાહની 1947નાં રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘તમસ’ નવલકથા લખે, એ જ રીતે કમળાબહેન પટેલ પણ આખો ઘટનાક્રમ વીતી ગયાનાં 27 વર્ષ પછી આ અનુભવકથા લખે છે. આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે આપણે સૌ ફરી એક વખત એ ઇતિહાસ ભૂલી ગયા છીએ અને હજી પણ જો એને યાદ નહીં કરીએ તો એવાં પરિણામો વેઠવા પડશે, જેની કલ્પના પણ નહીં કરી હોય, અને એથી જ આજે કમળાબહેન પટેલની અનુભવકથા વિશે વાત કરવી છે.

દસ્તાવેજી અનુભવકથા

કમળાબહેન પટેલની કૃતિ ‘મૂળ સોતાં ઊખડેલાં’ને શરીફા વીજળીવાળાએ સુપેરે ‘દસ્તાવેજી અનુભવકથા’ ગણાવી છે. અનુભવકથા એક કલાત્મક નૉન-ફિક્શન સ્વરૂપ છે, અને તે લેખક જાતઅનુભવના આધારે લખે છે. આત્મકથા અને અનુભવકથા વચ્ચેનો તાત્ત્વિક ભેદ એ છે કે આત્મકથામાં લેખક પોતાની વાત કરે છે, જ્યારે અનુભવકથામાં સર્જકે પોતે કરેલા અનુભવ વિશે વાત કરવાની છે. એ અર્થમાં કમળાબહેન સ્વરૂપને વળગી રહ્યાં છે, તેમણે આ કૃતિના માધ્યમથી ભાગલા વખતે અપહરણ કરાયેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની કામગીરીનું દસ્તાવેજીકરણ કર્યું છે, સાથે જ તેઓ એ પરિવેશને આ કૃતિ દ્વારા દૃશ્યાત્મક બનાવી શક્યાં છે. આ અનુભવકથા મહત્ત્વની છે, એનું બીજું કારણ એ કે ગુજરાતીમાં ભારત-પાકિસ્તાનના વિભાજનને અનુલક્ષીને ઝાઝું લખાયું નથી.

ઝવેરચંદ મેઘાણીએ ર.વ. દેસાઈની ‘ભારેલો અગ્નિ’ નવલકથા પર ‘જન્મભૂમિ’માં લખેલા લેખમાં ઇતિહાસ પર રચાતી સાહિત્યકૃતિઓને કંઈક આમ મૂલવી છે, “ઇતિહાસ એટલે પ્રજાઓનો મહાપ્રાણ. એ મહાપ્રાણનું હાર્દ લેખકોની લેખિનીઓને સ્પર્શે ઊઘડે છે.” જો કે ભારત-પાકિસ્તાનના ભાગલા વિશે ગુજરાતી સાહિત્યકારોએ ખૂબ જ ઓછું સર્જનાત્મક સાહિત્ય આપ્યું છે. શરીફા વીજળીવાળાએ ગુજરાતીમાં રચાયેલી 18 વાર્તાઓનું સંપાદન કર્યું છે, જે તેમના ‘વિભાજનની ગુજરાતી વાર્તાઓ’ પુસ્તકમાં મળી રહે છે, તેમાં ર.વ. દેસાઈ, જયંતિ દલાલ, જયંત ખત્રી, બાબુભાઈ વૈદ્ય, બકુલેશ, પન્નાલાલ પટેલ, મનુ પાંઘી, લાભુબહેન મહેતા, શિવકુમાર જોશી, પીતાંબર પટેલ, રમણીક પટેલ અને કુંદનિકા કાપડિયાની વાર્તાઓ છે. જો કે આ પૈકીના એક પણ વાર્તાકાર મંટો જેટલી સંકુલ વાર્તા આપી શક્યા નથી. આ અઢાર પૈકી બાર વાર્તામાં વિભાજન વખતે સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની વાત છે. જે સિંધીઓ સિંધની ભૂમિ, પોતાની સંસ્કૃતિ છોડીને ગુજરાતમાં આવીને વસ્યા એમની વાત ગુજરાતી સર્જનાત્મક સાહિત્યમાં મળતી નથી. જે સોઢા રાજપૂતો વર્ષ 1971 પછી ગુજરાતમાં આવીને વસ્યા અથવા જે ગુજરાતી મુસ્લિમો પાકિસ્તાનમાં જઈને વસ્યા, એમના વિશે પણ ગુજરાતીમાં કંઈ લખાયું નથી. શરીફાબહેન તેમના પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે, “જે વાર્તા મેં અહીં મૂકી છે, તેમાં એવી જ ઘટનાઓ આલેખાઈ છે જે ત્યારનાં છાપાઓમાં આવી હશે, કાને પડી હશે, ચર્ચાની એરણે ચડી હશે. આ સમયગાળાની સંકુલતા, માનવીય સંવેદનાના ઊંડાણને તાગતી વાર્તા આપણે ત્યાં નથી લખાઈ.” 3 આ પરિપ્રેક્ષ્યમાં કમળાબહેન પટેલની અનુભવકથાની મહત્તા વધી જાય છે.

આત્મકથનાત્મક સાહિત્યસ્વરૂપોની બીજી એક વિશેષતા એ હોય છે કે એમાંથી એક તંતુ (Common Thread) ઊપસી આવે છે, અને આ અનુભવકથામાં મને બે તંતુ જડે છે – એક છે સમસંવેદન અને બીજો છે સામાજિક નિસબત. આ બે તંતુને પકડી રાખીને જ મારે આજની આગળની ચર્ચા કરવી છે.

‘મૂળ સોતાં ઊખડેલાં’માં સમસંવેદન અને સમાજિક નિસબત

કોમવાદનું વાવાઝોડું આવ્યું અને કેટકેટલાં ય વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં, મૂળમાંથી ઊખડી ગયેલાં આ વૃક્ષોની વાત અહીં ‘મૂળ સોતાં ઊખડેલાં’ શીર્ષકના કેન્દ્રમાં છે. લગભગ કાટમાળ બની ચૂકેલી લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં ઊભી કરાયેલી છાવણી અને અન્ય છાવણીઓ એ આ કૃતિના પરિવેશ છે. અનુભવકથાનું વિષયવસ્તુ અપહ્યતાઓની પુનઃપ્રાપ્તિની કામગીરી, પુરુષોએ સ્ત્રીઓ પર આચરેલા અમાનુષી અત્યાચારની ફરતે વણાયું છે અને આખી ય કામગીરીમાંથી બે મુખ્ય પાત્રો તરી આવે છે – તેમાંથી એક કમળાબહેન પટેલ અને બીજાં મૃદુલાબહેન સારાભાઈ.

કમળાબહેન અને મુદુલાબહેનની રાહતછાવણી અન્ય રાહતછાવણીઓ કરતાં જુદી જ તરી આવે એવી છે. એ માટે મારે ભીષ્મ સાહનીની ‘તમસ’ની છાવણીનો સંદર્ભ લેવો છે : એક દૃશ્યમાં કેટલા ય નિરાશ્રિતો પોતાના ખોવાયેલા પરિવારજનોને શોધવા મથી રહ્યા છે અને આપવીતી કહેવા માગે છે. ટેબલ પર બેઠેલા આંકડાબાબુ રડતાં વૃદ્ધને કહે છે કે “અમે આ સાંભળવા અહીં નથી બેઠા, અમને આંકડા જોઈએ છે, આંકડા.” એ દૃશ્યમાં આંકડાબાબુ સરકારી તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વૃદ્ધ નિરાશ્રિત અને સરકારી અમલદાર વચ્ચે ઊભેલી governmentality ખૂબ જ સ્પષ્ટપણે દેખાય છે. સરકારી ચોપડામાં મૃતકો, હિજરત, માલસામાનની નુકસાનીનો હિસાબ રાખવાનાં ખાનાં છે પણ નિરાશ્રિતોનાં આંસુનો હિસાબ રાખી શકે, એવું ખાનું જ નથી. ભારતની આઝાદી પછી તરત જ પોકળ બનવા લાગેલા તંત્ર તરફ આંગળી ચીંધવાનો પ્રયાસ ભીષ્મ સાહનીએ કર્યો છે.

આની સાપેક્ષે કમળાબહેન અને મૃદુલાબહેનની છાવણી એવી હતી કે જ્યાં આંસુ, સંવેદનો અને આપવીતીની વાત થઈ શકે એવી communicative space ઊભી કરવામાં આવી હતી. કમળાબહેને ન માત્ર એ આંસુઓનો હિસાબ રાખ્યો છે, બલકે એ સંવેદનો અનુભવકથાના માધ્યમથી આપણા સુધી પહોંચાડ્યા પણ છે. એની સાબિતી આપવા માટે અનુભવકથાના જ કેટલાક પ્રસંગોનો સથવારો લઈએ.

કમળાબહેનનાં ‘રોમિયો અને જુલિયેટ’

વિભાજન અગાઉ રાવલપિંડીનું એક કુટુંબ દર વર્ષે કાશ્મીરમાં રજા ગાળવાં જતું હતું. એ જ રીતે અમૃતસરના એક લાલાજીનું કુટુંબ પણ કાશ્મીર જતું હતું. બંને કુટુંબો એક જ હોટેલમાં રહે અને વારંવાર મળવાનું થાય, એટલે આ કુટુંબનાં મોટેરાઓ અને બાળકો વચ્ચે મિત્રાચારીના પ્રસંગો ઊભા થતા હતા. વિભાજન સુધી બંને કુટુંબ માટે કાશ્મીર જવાનો આ ક્રમ ચાલુ રહ્યો હતો. લાલાજીના દીકરાનું નામ જિતુ હતું અને પઠાણ કુટુંબની દીકરીનું નામ ઇસ્મત હતું. આ બંને વચ્ચેની મૈત્રી કંઈક નાજુક ભાવનાઓમાં આગળ વધતી ચાલી હતી … ઇસ્મતને ભાગલા પછીની હિલચાલ સમજાતી ન હતી, પણ એના મનમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે હવે એ દરવર્ષની જેમ શ્રીનગર જઈ નહીં શકે અને જિતુને મળી પણ નહીં શકે … એના બાળસહજ મને કોઈ જ લાંબો વિચાર ન કરતા ગમે તે ભોગે અમૃતસર પહોંચી જિતુને મળવાનો એવો નિર્ણય કરી લીધો હતો.

ઇસ્મત યુક્તિઓ કરીને છાવણી સુધી પહોંચવામાં સફળ થઈ હતી, જિતુ લેવા આવી ગયો હતો. સુવર્ણમંદિરમાં જ જિતુ અને ઇસ્મતે લગ્ન કરી લીધાં હતાં અને આનંદથી રહેવા લાગ્યાં હતાં. તો બીજી તરફ ઇસ્મતને પરત મેળવવા માટે પરિવારે પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને બંને દેશોની બેઠકમાં ઇસ્મતને પાછી મેળવવાની વાત ચર્ચાઈ. છેવટે એવું નક્કી થયું કે ઇસ્મતને તેના મામા સાથે રહેવા લાહોર મોકલવી અને સાત દિવસ પછી ફરી ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થવું. આ દરમિયાન કમળાબહેન ઇસ્મતને ફોન કરીને તેની સ્થિતિ પૂછવાનો પ્રયાસ કરે છે, પણ વાત થઈ શકતી નથી.

કમળાબહેન અને મૃદુલાબહેન ઇસ્મતને મળવા ત્યાં પહોંચે છે તો ખબર પડે છે કે તે તેનાં માતાપિતા સાથે જઈને રહેવા લાગી હતી. ત્યાં જાય છે તો કમળાબહેનને ખ્યાલ આવે છે કે ઇસ્મતનાં પહેરવેશ અને ઢબસબની સાથે તેના વિચારો પણ બદલાઈ ગયા હતા. એ હદે પરિવર્તન આવી ગયું હતું કે તે જિતુનું નામ સાંભળતાં જ રોષે ભરાતી હતી. આ ઘટના બાદ જિતુ અનેક વખત ઇસ્મતને મળવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ બંનેનું મિલન થઈ શક્યું નહીં.

તો બીજી તરફ રમખાણો વચ્ચે સંવેદનશીલ પરિસ્થિતિની દરકાર કર્યા વિના જિતુ ઇસ્મતને મળવા લાહોર જવાના પ્રયાસો કરવા લાગે છે, કોઈક રીતે એ લાહોર પહોંચી પણ જાય છે. આમ છતાં ઇસ્મત અને જિતુનું મિલન થઈ શકતું નથી. કમળાબહેન પટેલને જિતુની એટલી ચિંતા થાય છે કે તે જિતુનાં માતાને મળવા જલંધર જાય છે. થોડાં વર્ષો વીતી ગયાં બાદ કમળાબહેનને ટ્રેનમાં અચાનક જિતુ મળે છે, તે ખૂબ દૂબળો દેખાતો હતો. જિતુનો મિત્ર કહે છે કે “ઇસ્મતને શોધતાં-શોધતાં જિતુ લગભગ ગાંડો થઈ ગયો હતો અને તેને ક્ષયની બીમારી થઈ ગઈ હતી.” આ જિતુ અને ઇસ્મત માટે કમળાબહેન ‘રોમિયો અને જુલિયેટ’ શબ્દ વાપરે છે, ખરેખરમાં એમની કહાણી ટ્રૅજેડીમાં જ પરિણમે છે.

આ પ્રસંગને ધ્યાને રાખીને જો આપણે કમળાબહેન પટેલને ‘તમસ’ના આંકડાબાબુ સાથે સરખાવીએ તો ખ્યાલ આવે કે તે બંનેની કામગીરી લગભગ સરખી છે પણ બંનેની કામ લેવાની પદ્ધતિમાં ઘણો બધો ફેર છે. કમળાબહેન તેમની આસપાસના લોકો સાથે સંવેદનાના સ્તરે બંધાયેલાં હતાં અને એ તેમની કામગીરીમાં દેખાઈ આવે છે. આવો જ બીજો એક પ્રસંગ સુદર્શનનો છે.

સુદર્શનની કહાણી

સંયુક્ત ભારતની ઇમ્પિરિયલ બૅન્કના મૅનેજરે કૉલેજમાં ભણતી તેમની 20 વર્ષની દીકરીનું અપહરણ થયું હોવાની વિગતો કમળાબહેનને આપી હતી. બીજી તરફ સુદર્શનના પિતા પાકિસ્તાનના અધિકારીઓ પાસે મોટી વગ લગાવીને પણ દીકરીને પાછી મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા. જેના પરિણામે પાકિસ્તાનની પોલીસ સુદર્શનની પુનઃપ્રાપ્તિ કરીને તેને છાવણીમાં મૂકી જાય છે. છાવણીમાં કમળાબહેન સુદર્શની સાથે વાત કરે છે, તો તેમને ખ્યાલ આવી જાય છે કે આ કિસ્સો અપહરણનો નથી. કમળાબહેનને એ રાતે ઊંઘ આવતી નથી, તેઓ અડધી રાતે સુદર્શનને મળે છે અને હકીકત પૂછે છે.

સુદર્શન કમળાબહેનને પોતાની આપવીતી સંભળાવે છે. સુદર્શન લાહોરની કૉલેજમાં ભણતી હતી અને સાથે ભણતાં મુસ્લિમ જમીનદારના દીકરા સાથે તેને મિત્રતા બંધાઈ હતી. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. થોડા સમયમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. સુદર્શનનાં માતાપિતા લગ્ન માટે પરવાનગી નહીં આપે, તેવી બંનેને ખાતરી હતી. આ દરમિયાન કોમી તોફાનો શરૂ થયાં અને સુદર્શનને તેના કુટુંબની સાથે દિલ્હી જવું પડ્યું હતું. આ સંજોગોમાં ગમે તે રીતે લગ્ન કરી જ લેવાં તેમ તેમણે અરસપરસ પત્રવ્યવહારમાં નક્કી કર્યું હતું.

નિશ્ચિત દિવસે યુવક વિમાનમાં દિલ્હી આવ્યો અને તરત જ પાછા ફરવા માટે વિમાનની બે ટિકિટો પણ તેણે મેળવી લીધી હતી. બંનેએ લાહોર પહોંચી નિકાહ પઢી લીધા હતા. હવે તેના પિતા તેને પરત લઈ જવા માટે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિના કાયદાનો ઉપયોગ કરી રહ્યા હતા.

અડધી રાત્રે કમળાબહેન સુદર્શનને તક આપે છે કે “જો તારે તારા પિતા સાથે ન જવું હોય, તો તું અત્યારે જ છાવણીમાંથી ભાગી જા. હું પણ એક સ્ત્રી છું અને સ્ત્રી તરીકે એટલું સમજું છું કે તું તારું ભવિષ્ય નક્કી કરવા માટે સ્વતંત્ર છે.”

સુદર્શન ખૂબ રડે છે અને છેવટે નિર્ણય લે છે કે હું મારાં માતાપિતા માટે મારા પ્રેમીનો ત્યાગ કરીશ. સુદર્શન પોતાના પિતા સાથે જાય છે પણ થોડા દિવસ પછી કમળાબહેનને સુદર્શનનો ફોન આવે છે અને તે કહે છે કે, “દિલ્હી મેં રહા ન ગયા. માતા-પિતા કો ધોકા દે કર વાપસ આ ગયી હૂં. હમ દોનો ખુશ હૈ.” કમળાબહેન પોતે લખે છે કે તેઓ આવા પ્રસંગો વખતે પોતાની હૈયાસૂઝ વાપરતાં હતાં.

બે દીકરા : લતીફ અને ઇન્દર

ચાર વર્ષના દીકરાને પાકિસ્તાનની પોલીસ હિંદુ ગણાવીને સામેથી છાવણીમાં મૂકી જાય છે. અવિભક્ત પંજાબનો સાંસ્કૃતિક પરિવેશ કંઈક એવો હતો કે હિંદુઓ અને મુસ્લિમો બંનેનાં પહેરવેશ અને બોલી એકસરખાં જ હતાં, એટલે તેમના ધર્મ વિશે જલદી ખબર ન પડે. આમ છતાં ટેવાઈ ગયેલી કાર્યકર્તા બહેનોએ કમળાબહેનને કહ્યું કે આ બાળક હિંદુ નથી, એ મુસ્લિમ લાગે છે અને તે પોતાનું નામ લતીફ કહે છે. કમળાબહેન આ કિસ્સામાં પણ હૈયાસૂઝથી જ કામ લે છે, તેઓ નક્કી કરે છે કે પોલીસ બાળકને સામેથી છાવણીમાં મૂકી ગઈ છે, એથી તેને સ્પેશિયલ કેસ ગણવો અને થોડા દિવસો સુધી આ છાવણીમાં જ રાખવો.

એ દરમિયાન છાવણીમાં તે બાળકને મળવા માટે એક વૃદ્ધ મુસ્લિમ યુગલ આવે છે અને તે લતીફનાં દાદા-દાદી હોવાનું કહે છે. આ બાળક પણ દોડીને એ લોકોને ભેટી પડે છે અને ડૂસકે-ડૂસકે રડે છે. કમળાબહેન એ વૃદ્ધ યુગલને કહે છે કે “આ બાળક હવે છાવણીમાં છે, એટલે નિયમ પ્રમાણે અમે તમને બારોબાર સોંપી ન શકીએ. ટ્રિબ્યૂનલની સમક્ષ તમારે હાજર થવું પડશે, અને તેઓ જ આ અંગે નિર્ણય કરી શકશે.”

લતીફનો મામલો ટ્રિબ્યૂનલમાં જાય છે અને કેટલીક બાબતોમાં તેમને વિસંગતિ જણાયે છે. ટ્રિબ્યૂનલ પોલીસને બોલાવે છે અને એ બાદ હકીકત બહાર આવે છે કે બાળકનાં માતાપિતા હિંદુ હતાં અને તેઓ ખૂબ ગરીબ હતાં. તેમને ત્રણ બાળકો હતાં, જેમાં લતીફ સૌથી નાનો હતો. આ પરિવારની બરાબર પડોશમાં એક વૃદ્ધ મુસ્લિમ દંપતી અને તેમની નિઃસંતાન વિધવા દીકરી રહેતાં હતાં. લતીફ જન્મથી જ આ પડોશી પરિવારના ત્યાં મોટો થયો હતો અને તેનાં માતાપિતાએ તેનું નામ પણ આ મુસ્લિમ પરિવાર પાસે જ પડાવ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ભાગલા પૂર્વે જ રમખાણો શરૂ થઈ ગયાં અને લતીફનો પરિવાર જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જવાના પ્રયાસો કરવા લાગ્યો હતો. લતીફ તેના પાલક મુસ્લિમ પરિવારને છોડવા તૈયાર ન હતો. લતીફની માતા તેના દીકરાને આ મુસ્લિમ પરિવારને સોંપે છે અને કહે છે કે “મને લાગે છે કે લતીફને તમારી પાસે જ મૂકી જાઉં, તમે જ તેને ઊછેર્યો છે. તમારી સાથે તે ભળી ગયો છે, નાનાં બાળકોને લઈને હવે ક્યાં જઈશ અને અમારી કેવી દશા થશે તેની કંઈ સમજ પડતી નથી. કોઈ ઠેકાણે ઠરીઠામ થવા જેવું લાગશે એટલે એને લેવા આવીશ અને ન આવી શકું તો તેને તમારો જ દીકરો સમજીને ઊછેરશો તેનો મને પૂરો વિશ્વાસ છે.” આ માત્ર સમસંવેદન જ નહીં પણ બંને કોમ વચ્ચે પાંગરેલા સહજીવનનો પણ પ્રસંગ છે.

આગળ જતાં એવું થાય છે કે લતીફની પાલક માતા ક્ષયના કારણે મૃત્યુ પામે છે અને હવે મુસ્લિમ વૃદ્ધ દંપતી તેમની દીકરીએ દત્તક લીધેલા લતીફને ઉછેરવાની જવાબદારી લઈ લે છે અને પોતાના જ પૌત્રની જેમ તેને ઉછેરવા લાગે છે. જો કે તેમના પિતરાઈ કુટુંબીજનોને લતીફ ખૂંચવા લાગે છે અને તે પૈતૃક સંપત્તિમાં ભાગ ન પડાવે એ માટે તેઓ પોલીસને ફરિયાદ કરે છે કે આ દંપતી પાસે એક હિંદુ બાળક છે, તમે આવીને તેને લઈ જાઓ.

ટ્રિબ્યૂનલમાં આ મામલે ઘણી ચર્ચા થાય છે. એવો પ્રશ્ન ઊઠે છે કે જો આ મુસ્લિમ દાદા-દાદીને લતીફની જવાબદારી સોંપાય તો શું તે પાકિસ્તાનમાં સુરક્ષિત રહેશે ખરો? એક દલીલ એવી પણ થાય છે કે જ્યારે દાદા-દાદી નહીં હોય, ત્યારે પાકિસ્તાનમાં તેનું ધ્યાન કોણ રાખશે. જેથી તેને ભારત મોકલી દેવો એવો મત ઊઠે છે. કમળાબહેન એવો મત રજૂ કરે છે કે લતીફને પંજાબના કોઈ સારા કુટુંબને દત્તક આપી શકાય અને એ માટે તેને જલંધરની છાવણીમાં મોકલવાનું નક્કી થાય છે.

આ દરમિયાન લતીફને છાવણીમાં અલાયદું વિશ્વ મળ્યું હતું, છાવણીના કર્મચારીઓ તેની માટે ખાવાપીવાની ચીજો અને રમકડાં લાવતાં હતાં. કમળાબહેન એક વખત બજાર જાય છે અને તેમને એક બાબાસૂટ દેખાય છે, તો તેઓ લતીફ માટે લઈ આવે છે. છાવણીમાં લતીફને લોકો ‘બીબીજી કા બેટા’ એટલે કે કમળાબહેનનો દીકરો કહીને બોલાવતા હતા.

કમળાબહેન સમક્ષ પણ એ જ વહીવટી તંત્ર હતું, જે આંકડાબાબુ સમક્ષ હતું અને એ જ કાયદા અને નિયમોને ધ્યાને રાખીને નિર્ણયો લેવાના હતા. આમ છતાં જ્યાં શક્ય બન્યું ત્યાં, કમળાબહેને કાયદેસરને બદલે જે ન્યાયસંગત લાગ્યું તે કર્યું હતું. કમળાબહેન કબૂલાત કરે છે કે, “તોફાનો દરમિયાન મિલકતની જેમ હજારો સ્ત્રીઓની તફડંચી થઈ હતી. તેમને પાછી મેળવવા અપહ્યતા સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું તંત્ર ઊભું કરાયું. તે અંગે બંને દેશો વચ્ચે કરારો થયા અને તેના આધારે નિયમો ઘડાયા. પુનઃપ્રાપ્ત કરાયેલી સ્ત્રીઓ અંગે નિર્ણય કરતી વખતે તેમની પોતાની ઇચ્છાને કંઈ જ મહત્ત્વ અપાતું નહીં અને અમે કહેવાતાં સામાજિક કાર્યકરો સ્ત્રી-બાળકોની, તે જાણે કે નિર્જીવ વસ્તુઓ હોય તેમ આ કે પેલા દેશમાં હેરફેર કરતાં હતાં અને કોઈ ઉમદાકર્મ કર્યાનો સંતોષ લેતાં હતાં. અમારા હાથ-પગને ઝકડતી નિયમોની બેડી અસાધારણ ઘટના જેવી બની હોવાથી હવે તે ખટકતી ન હતી. છતાં લતીફ જેવા કિસ્સા ઊભા થતા ત્યારે અસલિયતનું ભાન થઈ જતું અને કરાર અંગેના નિયમોથી બંધાયેલા હાથપગને ઝાટકો મારી છૂટા કરી દઈ, અહીંથી ભાગી છૂટવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી.” (‘મૂળ સોતાં ઊખડેલાં’ની પ્રસ્તાવનામાંથી)

આવો જ કિસ્સો ઇન્દરનો પણ છે. 24-25 વર્ષનો ઈજાગ્રસ્ત યુવક અચાનક એક દિવસે હાંફતો-હાંફતો છાવણીમાં પહોંચે છે, તે કમળાબહેનને મળીને તેની પરિસ્થિતિ વિશે વાત કરે છે, જે કંઈક આ પ્રમાણે છે :

ઇન્દરના પરિવાર પાસે પ્રમાણસર નાની પણ ફળદ્રૂપ જમીન હતી, એટલે પરિવાર એના પર નભતો હતો. ભાગલા વખતે જ્યારે પરિસ્થિતિ વણસવા લાગી ત્યારે ગામમાંથી શીખ પરિવારોની હિજરત થવા લાગી, ગામના મુસ્લિમ આગેવાનોએ બાંયધરી આપી કે તમને કંઈ નહીં થવા દઈએ. ઇન્દરને તેનાથી નાની એક બહેન હતી અને પરિવાર નક્કી કરે છે કે બહેનને ઇન્દર થોડે દૂર આવેલા માસીના ગામમાં મૂકી આવે. ઇન્દર બસમાં બહેનને મૂકવા નીકળ્યો, ત્યારે એ બસ પર અડધે રસ્તે હુમલો થયો અને એની બહેનને હુમલાખોરો લઈ ગયા હતા. ઇન્દરને એટલો માર માર્યો હતો કે તે બેભાન થઈ ગયો હતો.

થોડા દિવસો પછી જ્યારે ઇન્દર ભાનમાં આવ્યો, ત્યારે તે કોઈ અજાણ્યા મુસ્લિમ દંપતીના ઘરમાં હતો, જેણે તેનો જીવ બચાવીને તેની સેવા કરી હતી. દંપતીને ઇન્દર વહેલી સવારે હાજતે જતી વખતે ઈજાગ્રસ્ત અવસ્થામાં મળ્યો હતો. આ દંપતીએ રમખાણોમાં જ પોતાનો દીકરો ગુમાવ્યો હતો અને એટલે જ તેઓ ઇન્દરને બચાવી લેવા માટે તત્પર હતાં. તેમણે ઇન્દરને પોતાના ઘરમાં રાખ્યો હતો અને ગામમાં કહ્યું હતું કે પાછળ છૂટી ગયેલો દીકરો પાછો મળ્યો છે. પોતાના દીકરાના નામે જ તેને દવાખાનામાં દાખલ કરાવીને તેની સારવાર પણ કરાવી હતી. ઇન્દર સાજો થયા બાદ કમળાબહેનને મળવા છાવણી સુધી આવી પહોંચે છે.

કમળાબહેન ઇન્દરની સાથે એ વૃદ્ધ મુસ્લિમ દંપતીને મળવા જાય છે અને એમને જાણ કરે છે કે તેઓ હવે ઇન્દરને ભારત મોકલવાની વ્યવસ્થા કરશે અને ત્યાં જઈને ઇન્દર તેના પરિવારને શોધશે. કમળાબહેન નોંધે છે કે એ વખતે ઇન્દરને વિદાય આપતાં આ દંપતી એટલું રડે છે કે જાણે તેમનો પોતાનો દીકરો પરદેશ જઈ રહ્યો હોય.

કોમવાદી ઝેરી હવા વચ્ચે માનવીય સંવેદનો

ઇન્દર અને લતીફ જેવા પ્રસંગો કોમવાદી વાતાવરણમાં પણ પ્રગટતાં માનવીય સંવેદનો અને સ્પંદનોની ઝલક આપે છે. આવા કેટલા ય પ્રસંગો અનુભવકથાના પૃષ્ઠોમાં સચવાયેલા છે. કમળાબહેનનો જીવ બચાવનાર મુસ્લિમ દૂધવાળાનો પ્રસંગ છે, જેને કમળાબહેન રાખડી બાંધવાનું આમંત્રણ રક્ષાબંધને મોકલે છે. આ માનવીય સંવેદનો નરી હેવાનિયતની વચ્ચે પાંગર્યાં છે. જ્યારે-જ્યારે કોમી નફરતની ઝેરી હવા ફેલાવતાં તત્ત્વો સક્રીય થવા લાગે, ધર્મના નામે સમાજને કે સહજીવનને તોડવાના પ્રયાસો થવા લાગે, એ વખતે આવા પ્રસંગો જ આપણી સંવેદનાને જીવતી રાખે છે. આજે સળગતી હવાઓની વચ્ચે આપણો શ્વાસ પણ કમલેશ્વરે ટાંકેલી પંક્તિઓની જેમ ક્યાંક રૂંધાઈ ન જાય અને આપણે પણ બારી ખોલતાં ડરવા ન લાગીએ એ માટે એક જ રસ્તો છે. આપણી વચ્ચે જે ધર્મ, જ્ઞાતિ, દેશ, વેશ, રંગની અને અન્ય તમામ પ્રકારની દીવાલો ઊભી કરી દેવાઈ છે, તેમાં બે બારી પાડવાની છે – એક સમસંવેદનની અને બીજી સમાજિક નિસબતની. એ બારીમાંથી અરસપરસ એક બીજા સાથે વાત કરીએ તો કદાચ આ વિશ્વમાં છાવણીઓ ઊભી કરવાની જરૂર જ ન પડે.

1. ‘કળાકારનો ઇતિહાસબોધ’, ભરત મહેતા, પાર્શ્વ પ્રકાશન, પૃષ્ઠ નંબર 97.
2. ‘The Life of Reason’, George Santayana, 1905.
3. ‘વિભાજનની ગુજરાતી વાર્તાઓ’, શરીફા વીજળીવાળા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પૃષ્ઠ નંબર VII.

[લંડન મુકામેથી]

e.mail : pandya37parth@gmail.com

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ હેઠળ, 03 ફેબ્રુઆરી 2024ના રોજ, પાર્થભાઈ પંડ્યાની રજૂઆત]

 

* * * * *

 

ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે

– તેજલ પ્રજાપતિ

પ્રસ્તાવના :

તેજલ પ્રજાપતિ

આજના સંદર્ભે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તકની નારીસંવેદના સંદર્ભેની ચર્ચા પ્રસ્તુત જણાય છે, કારણ કે ગયા વર્ષે જ મણિપુરમાં થયેલી હિંસા અને એમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના કિસ્સા મને યાદ આવે છે. રશિયા-યુક્રેન કે ઇઝરાયલ-પેલેસ્તાઇન સંઘર્ષ વચ્ચે પણ મહિલાઓ પર જાતીય અત્યાચારના અહેવાલ સતત આવી રહ્યા છે.

1947 હોય, એના પહેલાંની વાત હોય કે એ પછીનાં વર્ષોની વાત હોય; નારી પર સામૂહિક ધોરણે અત્યાચારો થતા જ રહ્યાં છે અને સમયાંતરે નારીસંવેદના અંગે આ પ્રકારના વિચારવિમર્શ કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. મહિલાઓ પર અત્યાચારની વાત નવી નથી, યુગોનો ઇતિહાસ જોઈએ તો સમજાય કે સમયાંતરે સ્વતંત્રતા માટે, મુક્તિ માટે, સમાનતા માટે, સમાનવેતન

 માટે, કામ કરવાના અધિકાર માટે મહિલાઓએ લડવું પડ્યું છે. વિશ્વયુદ્ધ વખતે પુરુષો જ્યારે યુદ્ધના મોરચે લડવા જતા રહ્યા, ત્યારે સ્ત્રીઓએ તેમની પાછળ ખેતરોમાં ખેતી કરી, મિલોમાં કામ કર્યાં, ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવ્યો હતો, એ આપણે જાણીએ જ છે. જેવી યુદ્ધની સ્થિતિ શાંત થઈ, જે પુરુષો જીવતા પાછા આવ્યા, એમણે સ્ત્રીઓને પાછા ઘરમાં જવાની અને ઘરનું કામ કરવાની ફરજ પાડી. યુરોપમાં ઠેકઠેકાણે સ્ત્રીઓએ આની સામે બળવો કર્યો અને કામ કરવાનો અધિકાર માગ્યો. આ ઇતિહાસ આપણે યાદ રાખવા જેવો છે. આજે આપણે એ સ્ત્રીઓની વેદના વિશે વાત કરવાની છે. જેને ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે વ્યક્તિ નહિ પણ વસ્તુની માફક ઉપાડી જવાઈ અને તેમની પર બળાત્કારો થયા, અને એ વિશે વાત કરવા માટે આપણે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’નો સહારો લેવાનો છે.

કમળાબહેન પટેલનો ટૂંકો પરિચય :

આમ તો લેખિકા કમળાબહેન પટેલ વિશે ઝાઝું લખાયું નથી. એકાદ પુસ્તક અને કેટલાક લેખોમાંથી તેમના જીવન અંગેની કેટલીક માહિતી મળી આવે છે. ‘મૂળ સોતાં ઊખડેલાં’ની પ્રસ્તાવનામાં ચી.ના. પટેલ કમળાબહેન પટેલનો જીવન પરિચય આ પ્રમાણે આપે છે :

કમળાબહેન પટેલ

“ચરોતરનાં જાણીતા છ ગામનાં કુલીન ગણાતા પાટીદાર કુંટુંબોમાંના એકમાં સોજિત્રાના એમનો 1912માં નડિયાદમાં જન્મ થયો હતો. પુત્રીઓ વિશે હિનભાવના વાતાવરણમાં કમળાબહેનનાં માતા-પિતાને ચાર પુત્રીઓ જન્મી, અને પુત્ર એકેય નહિ. ચારમાં કમળાબહેન સૌથી મોટાં. તેમની બાર-તેર વર્ષની ઉંમરે માતા મૃત્યુ પામ્યાં અને ત્રણ નાની બહેનોની દેખરેખ રાખવાની જવાબદારી કમળાબહેન પર આવી. પિતા શંકરભાઇને ગાંધીજીની સેવા ભાવનાનું આકર્ષણ થયું હતું અને બીજુ લગ્ન ન કરતાં તેઓ પુત્રીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ગાંધીજીના પ્રેમાળ હૃદય છતાં સત્યાગ્રહ આશ્રમનું વાતાવરણ બાળકોને ભારે લાગે એવું હતું. એ વાતાવરણમાં નાની બહેનોને સાચવતાં કમળાબહેને કેટલી અને કેવી મૂંઝવણો અનુભવી હશે, તે આપણે કલ્પી શકીએ છીએ. અઢારેક વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું પણ લગ્ન પછી એક જ વર્ષમાં તેઓ બે ઓરમાન બાળક પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં. કમળાબહેન આ ભાર ઊંચકી શક્યાં એટલું જ નહિ પણ તક મળતાં પોતાની શક્તિઓને સેવા કાર્યમાં આપી શક્યાં. આ કમળાબહેન સામાન્ય સ્ત્રી-પુરુષ જેને સંસારસુખ માને છે, તેવા કોઇ સુખની આશા વિના જીવનનો સદ્દુપયોગ કરતાં જીવ્યાં અને ઉત્તરાવસ્થામાં પણ મુક્ત મને હસી શકે એટલી સ્વસ્થતાં જાળવી શક્યાં.”

આ સિવાય કેટલાંક પ્રસંગો કમળાબહેને પોતે લખેલાં સાબરમતી આશ્રમનાં સંભારણામાંથી મળે છે. તેમણે જીવનનો મહત્ત્વનો સમય ગાંધીજીના આશ્રમમાં વિતાવ્યો હતો. કમળાબહેન પટેલના પિતાને ગાંધીજીએ સરદાર પટેલની સહાય કરવા માટે બારડોલી મોકલ્યા હતા. તેમનાં માતા એ સમયે ગુજરી ગયાં હતાં. તેથી માતા-પિતાની ગેરહાજરીમાં કમળાબહેન સાબરમતી આશ્રમમાં રહેવા ગયાં હતાં. એ વખતે તેઓ આશ્રમ જીવનથી પ્રભાવી થયા હતા અને તેમણે કેટલાક પ્રસંગો ‘સાબરમતી આશ્રમનાં મારા સંભારણાં’ના નામે લખ્યા છે. જેના આધારે અંદાજ આવે છે કે, તેઓ 1925થી 1931 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હશે.

રફીક સુલતાના તેમના પુસ્તક ‘રાષ્ટ્રીય આંદોલનમાં મહિલાઓનું યોગદાન’માં લખે છે કે, કમળાબહેને અસહકારના આંદોલન વખતે ગાંધીજીની હાંકલ પર શાળાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમના પિતાજી પણ સ્વતંત્રતાની લડતમાં જોડાયેલા હતાં અને એ દૃષ્ટિએ તેમનો ગાંધીજી અને અન્ય નેતાઓની વિચારછાયામાં ઉછેર થયો હતો.

કમળાબહેન વર્ષ 1947થી 50 દરમિયાન ભારત-પાકિસ્તાન વિભાજન વખતે ભોગ બનેલી સ્ત્રીઓની પુન:પ્રાપ્તિના કાર્યમાં મૃદુલાબહેન સારાભાઇ સાથે જોડાયેલાં હતાં. આ સાથે તેમણે વર્ષ 1950થી 1968 સુધી ખાદી ગ્રામઉદ્યોગ કમિશનમાં સેવા આપી હતી.

વિભાજનમાં નારીની પરિસ્થિતિ અને કમળાબહેન પટેલની કામગીરી :

1947માં ભારત દેશ અંગ્રેજીરાજમાંથી આઝાદ થયો પણ એ સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ થયા અને આ દરમિયાન પંજાબ, કાશ્મીર, બંગાળ અને એ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ તણાવભરી પરિસ્થિતિમાં અનેક મહિલાઓના બળાત્કાર થયા અને કેટલી ય મહિલાઓને ઉપાડી જવાઈ, આ અપહ્યતાઓને પાછી લાવવાનું અને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું કામ કમળાબહેન પટેલના ભાગે આવ્યું. સાથે જ તેમણે નિરાશ્રિતો માટે રાહતછાવણીઓ પણ ઊભી કરી. બોર્ડર એન્ડ બાઉન્ડ્રીઝ Women in India’s partition પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે હિંદુ અને શીખ પુરુષોએ 50,000 મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં. બીજી બાજુ 33,000 હિંદુ અને શીખ સ્ત્રીઓનાં અપહરણ કરાયાં હતાં. એ જ રીતે ઉર્વશી બુટાલિયા તેમના પુસ્તક ‘ધ અધર સાઇડ ઓફ સાયન્સ’માં લખે છે સરહદની બંને બાજુએથી 75 હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં. પુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાંથી જે આંકડા મળે છે એ તો અંદાજિત આંકડો છે હકીકતમાં તો આ સંખ્યા વધારે મોટી હતી.

ઉર્વશી બુટાલિયા તેમના અભ્યાસલેખ ‘કૉમ્યુનિટી, સ્ટેટ ઍન્ડ જેન્ડર : સમ રિફ્લેક્શન ઓન ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા’માં એક પત્રિકાને ટાંકે છે, જે પત્રિકા ‘વુમન અગેન્સ્ટ ફન્ડામેન્ટલિઝ્મ’ નામના ઍક્ટિવિસ્ટ જૂથ દ્વારા પ્રકાશિત કરાઈ હતી. તેમાં કેટલીક પંક્તિઓ લખેલી છે, જે આ પ્રમાણે છે :

I am a women
I want to raise my voice
because communalism affects me
in every communal riot
my sisters are raped.
My children are killed …
my world is destroyed
and then
I am left to pick up the pieces…
it matters little if I am a Muslim, Hindu, or Sikh
and yet I cannot help my sister.

Violence is almost always initiated by men, but its greatest impact is felt by women. In violent conflict, it is women who are raped, women who are widowed … in the name of national integrity and unity.”

અમાનુષી યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવા માટે જે બહેનોએ સેવા આપી હતી તેમાં કમળાબહેનની સાથે મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપાલાણી, રામેશ્વરી નહેરુ, બેગમ અનિસ કિદવઈ સિવાય બીજાં ઘણાં લોકો પણ હતાં. શરીફા વીજળીવાળા આ સંદર્ભે એક લેખમાં નોંધે છે કે, ”આ પુસ્તકનાં લેખિકા કમળાબહેન પટેલના ભાગે સામા પૂરે તરવાનું આવ્યું. 35 વર્ષની ઉંમરે, નાજુક તબિયતે એમને ભડકે બળતા લાહોરમાં કામ કરવાનું થયું.”

આશરે બે વર્ષ અને બે-ત્રણ મહિનાના સમયમાં કમળાબહેને અપહ્યતા સ્ત્રીઓને પ્રાપ્ત કરીને તેમના પરિવારો પાસે મોકલવાની કામગીરી કરી હતી. વધુ સારી રીતે સમજવા કમળાહેનની કામગીરીનું વર્ણન તેમના જ શબ્દોમાં જોઈએ.

“1. લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં છાવણી ખોલવા માટેની જે જગ્યા પાકિસ્તાન સરકાર તરફથી મળી હતી ત્યાં પુનઃપ્રાપ્ત થયેલી બહેનોને ટૂંક સમયમાં રહેવાની આવશ્યક સગવડો ઊભી કરવાની હતી, આ સાથે જ ભારતમાંથી આવતી કાર્યકર્તા બહેનોને રહેવા માટેની સગવડ કરવાની હતી.

2. ભારતમાંથી કાર્યકર્તા બહેનો આવે એમને પાકિસ્તાનના કયા જિલ્લામાં મોકલવી તેનો નિર્ણય કરી કાર્યકર્તા બહેનોને સાથે લઈ જે-તે જિલ્લામાં જવું અને જિલ્લાના કલેક્ટરને મળીને જિલ્લા છાવણી ટ્રાન્ઝિટ માટે સ્થાન મેળવવું. કાર્યકર્તા બહેનોને ત્યાં ગોઠવી રાશન ઇત્યાદિની ગોઠવણ કરવી, લાગતાં વળગતા અધિકારીઓની ઓળખાણ કરાવવી, કાર્યકર્તા બહેનોને તેમના કામની વિગત સમજાવવી અને કામ કરતાં જે મુશ્કેલીઓ ઊભી થાય તેનો શક્ય ઉકેલ શોધી આપવો.

3. ભારત અને પાકિસ્તાન સરકારો વચ્ચે થયેલા કરાર મુજબ પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત થયેલી હિંદુ સ્ત્રીઓને ભારતીય પ્રદેશના પંજાબના જલંધર ખાતે શરૂ કરવામાં આવેલ ગાંધી વનિતા આશ્રમમાં મોકલવાની ગોઠવણ કરવી. ગાંધી વનિતા આશ્રમ પુનઃપ્રાપ્ત થયેલી બહેનો માટે શરૂ કરાયો હતો.

4. ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ અંગે થયેલા કરારોનો પાકિસ્તાન સત્તાવાળાઓ અમલ કરે તે માટે પાકિસ્તાનના લાગતા-વળગતા ખાતાના અધિકારીઓના સંપર્કમાં રહેવું અને કામની સરળતા અર્થે તેમની સાથે જરૂરી વાતચીત અને મંત્રણા કરવી.

5. લાહોર ખાતેના ભારતના ડેપ્યુટી હાઈકમિશનની કચેરીના અધિકારીઓ પાસે સલાહ-સૂચન મેળવવા.”

આ કામગીરીના અંત સુધીમાં કમળાબહેન પટેલ જાતે જ નોંધે છે એ પ્રમાણે પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં હિંદુ અને શીખ મહિલાઓ અને બાળકોની સંખ્યા નવ હજાર હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં મુસ્લિમ મહિલાઓ અને બાળકોની સંખ્યા 20,728 હતી.

મહિલાઓનાં સ્તન અને જનનાંગો કાપી નાંખવાનાં, જનનાંગો પર ધાર્મિંક ચિહ્વોનાં છૂંદણાં કરવાના કિસ્સા કમળાબહેન પટેલ, બેગમ અનિસ કિદવઈ, અને ઉર્વશી બુટાલિયાએ નોંધ્યાં છે.

એ વખતે બ્રિટિશ મહિલાઓ પર પણ ઓછું જોખમ નહોતું, ઘણી જગ્યાએ એવા કિસ્સા મળે છે કે એ સમયે બ્રિટિશ મહિલાઓને બચાવવા માટે પોટેશિયમ પરમેન્ગેનેટથી આખી નવડાવવામાં આવતી, જેથી તેમનો વાન ગોરો ન દેખાય અને એ મહિલાઓને લાજ પણ કઢાવવામાં આવતી, જેથી કોઈ ઓળખી ન શકે. કેટલીક યુવતીઓનાં અપહરણ પણ કરવામાં આવ્યાં હતાં. સ્ત્રીઓ પર માત્ર રમખાણો કરનારા જ અત્યાચાર કરતા હતા, એવું નથી. મહિલાઓ પોલીસ અને સૈનિકોના અત્યાચારોનો ભોગ બની હતી, રાહત કૅમ્પોમાં પણ તેમની સાથે દુર્વ્યવહાર થતા હતા. આના કિસ્સા કમળાબહેનના આ પુસ્તકમાં જ આપણને મળી રહે છે. ભાગલા વખતે અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીઓની પીડાને જો વર્ણવવા બેસીએ તો કદાચ કરુણ મહાકાવ્ય રચાય અને એ સ્વરૂપ પણ ઊણું ઊતરે.

મૂળ સોતાં ઊખડેલાંમાં અપહ્યતાની પીડા

દરેક અપહ્યતાની પોતાની કહાણી છે અને એની પીડા સમજવા માટે એ કહાણીમાંથી પસાર થવું જ રહ્યું. પાકિસ્તાનના સ્કોલર ફારુખ ખાને અલ્લાહ રાખી નામનાં મહિલાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેઓ પાકિસ્તાનના ઉરાહમાં રહેતાં હતાં. તેઓ પોતાની વ્યથાની કથા વર્ણવતાં કહે છે કે કે, “મારો પતિ અને જેઠ પહેલાં જ પાકિસ્તાન જવા નીકળી ગયા હતા. અમારી પર હુમલો થયો ત્યારે અમને બચાવવા અમારા ઘરમાં કોઈ પુરુષ નહોતા. અમારું અપહરણ કરાયું. અમને સ્કૂલ જેવી જગ્યાએ બેથી ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવ્યાં હતાં. અમારી છેડતી થતી, અમારી સાથે બહુ જ ખરાબ વ્યવહાર થતો એ પછી મને એક ઘરમાં લઈ જવામાં આવી અને ત્યાં રહેવાની મને ફરજ પાડવામાં આવી, મારી સાથે બહુ ખરાબ વર્તન થતું હતું. હું 6 વર્ષ આવી રીતે રહી. આ વચ્ચે મને બે બાળકો પણ થયાં. મારા પરિવારનું શું થયું હશે તેની મને ખબર પણ નહોતી. અમારા ગામમાં સેના આવતી અને અપહ્યતા મહિલાઓ વિશે પૂછતી, પણ ગામના લોકો ખોટું બોલતા અને કહેતા કે અહીં એવી કોઈ મહિલા નથી.” એક દિવસે આ અપહ્યતાને પણ મદદ મળી. તેઓ આગળ વાત કરે છે, “હું તેમની ગાડીમાં 10 મહિનાના દીકરા સાથે બેસી ગઈ. હું મારા બીજા દીકરાને લેવા ગઈ હોત તો કદાચ પાછી આવી શકી ન હોત. મારો દીકરો 2 વર્ષનો હતો. મારે એને છોડીને આવવું પડ્યું. એ બધું હું હજું પણ ભૂલી શકતી નથી. પાછળ છોડી દીધેલો મારો દીકરો મને બહુ યાદ આવે છે.”

આવી જ અનેક અસહાય અપહ્યતાને પાછી લાવી, તેમને પરિવાર સાથે મળાવાનું કામ કમળાબહેન, મૃદુલાબહેન, બેગમ કિદવઈ જેવી મહિલાઓએ કર્યું.

બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની વાત

કેટલીક મહિલાઓ એવી હતી કે જેમના અપહરણ થયા હોય અને જ્યારે તેમને પુનઃપ્રાપ્ત કરવાની તજવીજ હાથ ધરાય, ત્યારે તે મહિલા પોતે જ

મૃદુલાબહેન સારાભાઈ

આવવાની ના પાડે અને અપહરણકર્તા સાથે રહેવાનું પસંદ કરે. આવા કેટલાક કિસ્સા કમળાબહેન પટેલે નોંધ્યા જ છે, પણ અન્ય ભાષાના લેખકોનાં લખાણમાં પણ આવા કિસ્સાનો ઉલ્લેખ મળે છે. આવો જ એક કિસ્સો મૃદુલાબહેન સારાભાઈની જીવનકથામાં લખેલો છે. મૃદુલાબહેન સારાભાઈ જ્યારે કુર્જમાં સ્થિત કેમ્પમાં પહોંચ્યા ત્યારે કેટલીક મહિલાઓ ભારત પરત જવા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતી હતી, જ્યારે કેટલીક મહિલાઓમાં ભારત પરત જવા અંગે ખચકાટ જોવા મળતો હતો. એ વખતે તેઓ સમજી નહોતાં શકતાં કે આ મહિલાઓ ભારત જવા તૈયાર કેમ નહોતી. તેઓ પોતે જ જવા નહોતી માગતી કે તેમની પર કોઈ દબાણ હતું, એ વિશે પણ શરૂઆતમાં મૃદુલાબહેન સ્પષ્ટ નહોતાં. એક મહિલાએ આવીને રડતાં-રડતાં મૃદુલાબહેનને કહ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમારા પરિવારજનો માર્યા ગયા છે. અમારી સામે જ તેમની હત્યા થઈ હતી. અમારો ધર્મ ત્રણ વર્ષ પહેલાં જ બદલી કાઢવામાં આવ્યો હતો અને તમે અમને હવે પરત જવા કહો છો.’ મૃદુલાબહેન લખે છે કે, ‘મને એવું લાગ્યું કે મારી ઉપર ખટલો ચાલી રહ્યો છે. તેમના પ્રશ્નોના જવાબ આપવાની મારી ક્ષમતા, તેમને સમજાવાની મારી ક્ષમતા પર જાણે પ્રશ્નો ઊભા કરી દેવાયા હોય એવું મને લાગ્યું … એવામાં જ એક યુવતી ઊભી થઈ અને એણે દલીલ કરવી શરૂ કરી. તેણે કહ્યું, ‘તમે માનો છો કે અપહરણ એ અયોગ્ય છે અને એટલે અમને બચાવવા આવ્યાં છો, પણ હવે મોડું થઈ ગયું છે. એક વ્યકિત એક જ વખત લગ્ન કરે છે, પછી એ લગ્ન એના મનથી થયાં હોય કે જોરજબરદસ્તીથી. અમારાં લગ્ન થઈ ગયાં છે તો હવે તમે શું કરશો, અમને ફરીથી પરણાવશો? શું તે અયોગ્ય નહિ હોય. અમારા અપહરણ થયા ત્યારે અમારા પરિવારજનો ક્યા હતા, હવે તેઓ કહે છે કે તેઓ અમારી ઉતાવળે રાહ જોવે છે. માફ કરજો, પણ તમે આપણા સમાજને નથી સમજતા, અમારા માટે જીવન નર્ક બની જશે.’

મૃદુલા સારાભાઈ સાથેના આ યુવતીઓના સંવાદ દર્શાવે છે કે, તેમના પાછા ન જવા પાછળનું મુખ્ય કારણ સામાજિક હતું. તેઓ પાછા જવા નહોતાં માગતાં કેમ કે તેમને ડર હતો કે તેમનો પરિવાર તેમને નહિ સ્વીકારે. કેટલીક મહિલાઓ એવી હતી કે જેઓ ભાગલા વખતે કુવારી હતી, હવે તેમના અપહરણ બાદ તેમને બાળકો હતાં અને તેઓ તેને પાછળ છોડવા તૈયાર નહોતી અને જો સાથે રાખે તો પોતાના પરિવારને શું કહે તેની પણ શરમ અનુભવતી હતી.

વૉરબેબીની વાત

વિભાજન વખતે મહિલાઓ પર થયેલા અત્યાચારોના પરિણામે અનેક ‘વૉર બેબીઝ’ જન્મ્યા હતાં. વૉર બેબીઝ એટલે કે યુદ્ધનું સંતાન, આ પરિભાષા ઘણી જૂની છે. માનવસભ્યતાના ઇતિહાસમાં યુદ્ધની પરિભાષા જેટલી જૂની-પુરાણી છે, એટલી જ જૂની પરિભાષા વૉર બેબીની છે. યુદ્ધમાં જીત બાદ જીતેલો પક્ષ હારેલા પક્ષની સ્ત્રીઓ પર શારીરિક અત્યાચારો કરે અને અત્યાચાર કરનારા પુરુષો ત્યાંથી ચાલ્યા જાય. આ અત્યાચારોના કારણે કેટલી ય સ્ત્રીઓને ગર્ભ રહી જતો અને બાળકોનાં જન્મ થતાં હતાં. આ બાળકો એટલે વૉર બેબીઝ.

કમળાબહેન પટેલ આ સંજ્ઞાની વિભાવના આપતા લખે છે કે, “દેશ-દેશ વચ્ચેની લડાઈઓ દરમિયાન હજારોની સંખ્યામાં લગ્નનાં બંધન વિનાના બાળકો પેદા થાય છે. આ બાળકોને સૌ યુદ્ધની પેદાશ (વોર બેબી) તરીકે જાણે છે અને તેમના ઉછેર માટે જે-તે દેશની સરકારો જવાબદાર હોય છે. મોટાભાગે આવાં બાળકો તેમની માતા પાસે હોય છે. તેમના જન્મ માટે જવાબદાર હોય તેવા તેમના પિતા વિશે સામાન્ય રીતે કોઈને ખબર હોતી નથી.”

કમળાબહેનની રાહતછાવણીઓમાં પણ કેટલીક મહિલાઓ આવાં વૉર બૅબી સાથે આવી હતી. પ્રશ્ન એવો પણ ઊભો થતો કે પુનઃપ્રાપ્તિ બાદ આવાં વોર બેબીનું શું કરવું. કમળાબહેન પટેલનાં લખાણમાં પણ આ અંગેની કબૂલાત મળે છે, તેઓ લખે છે “અપહ્રત બનેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે ગોઠવણીનો અમલ 1947નાં નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયો. શરૂઆતમાં આ કાર્યની ગતિ ગોકળગાય જેવી ધીમી હતી. આ સમય દરમિયાન જન્મેલા કે જન્મનાર બાળકનું શું કરવું તે સવાલ સૌને મૂંઝવતો હતો. આ મૂંઝવણના ઉકેલ રૂપે એવું નક્કી કરાયું હતું કે, અપહ્યતા માતાઓની પુનઃપ્રાપ્તિનાં પ્રસંગે સ્ત્રીઓએ તેમનાં બાળકોને તેમના જનક પિતાની પાસે મૂકીને બાળકને પોતાની સાથે લાવે કે પાછળ મૂકી આવે તેનું પાકિસ્તાનના સત્તાવાળાઓને મન કંઈ મહત્ત્વ ન હતું. જો કે ભારત માટે આ જટિલ પ્રશ્ન હતો. મુસ્લિમ પિતાથી હિન્દુ સ્ત્રીને થયેલા બાળકનો સ્વીકાર કુંટુંબમાં થાય તે લગભગ અશક્ય હતું. સ્ત્રીઓનાં સંબંધીઓ બાળકોની સાથે સ્ત્રીઓનો સ્વીકાર ન કરે તો આવી મોટી સંખ્યાની સ્ત્રીઓનો પુનર્વસવાટ કેમ કરવો એ એક મોટો પ્રશ્ન ભારતની સરકાર પાસે ઊભો થયો.”

કમળાબહેન નોંધે છે એ પ્રમાણે આ મામલે થયેલી એક બેઠકમાં અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આવા બાળકોને યુદ્ધની પેદાશ ગણીને તેમના પ્રશ્નોનો ઉકેલ કરવો. જોકે કમળાબહેન પટેલ આવી વાત સ્વીકારવાનાં નહોતાં. તેઓ લખે છે કે,” ચર્ચા દરમિયાન જરા ઊંચા સાદે મેં કહ્યું કે વોરબેબીનાં જન્મ માટે જવાબદાર તેમના પિતાઓ તેમના વતન ઊપડી જતા હોય છે અને બાળકો તેમની જનેતાની પાસે જ ઊછરતા હોય છે. આવાં બાળકોને તેમની માતાઓ પાસેથી કોઈ જૂટવી જતું નથી.”

આમ છતાં આ મુદ્દો આવી એકાદ દલીલ કે એકાદ બેઠકથી ઉકેલાય એવો નહોતો અને અહીં વ્યવહારુ નિર્ણયની સામે લાગણની વાત હતી. બે-ત્રણ બેઠકો સુધી આ અંગે ચર્ચા ચાલી હતી. છેવટે એવું નક્કી થયું કે બાળકોને સાથે લાવવા કે પાછા પાકિસ્તાનમાં મૂકીને આવવું તે માતાની મરજી ઉપર છોડવું જોઇએ. પુનઃપ્રાપ્તિ બાદ લવાયેલી સ્ત્રીઓ પૈકી અનેક એવી હતી કે જે નવજન્મેલાં બાળકો લઈને આવી હોય. આવાં બાળકોના ઉછેર માટે યોગ્ય બંદોબસ્ત કરવાની ગોઠવણ કરવામાં આવતી સાથે જ છાવણીમાં કમળાબહેન અને અન્ય કાર્યકર્તા બહેનો આવી સ્ત્રીઓને સમજાવવા પ્રયત્ન કરતાં કે તેઓ બાળકને તેના પિતા પાસે જ છોડી દે એ હિતાવહ છે. આમ છતાં અનેક માતાઓના મનમાં આ વાત ન ગોઠવાતી અને તેમને બાળકની સાથે જ ભારત મોકલવામાં આવતી.

કમળાબહેન નોંધે છે કે, કેટકેટલી ય કુંવારી બહેનો આવા દમનનો ભોગ બની હતી અને કુંવારી હોવા છતાં માતા બની હતી, આવી સ્ત્રીઓ પણ પોતાનાં બાળકોને પાછળ છોડવા તૈયાર ન હતી. આવી કુંવારી માતાઓ માટે સ્થિતિ વધારે કપરી બની જતી હતી. કમળાબહેન લખે છે કે,” ભારતમાં જલંધરની છાવણીમાં પહોંચતાં જ કોઈને કોઈ મળી આવતું ત્યારે પોતે કુંવારી છે અને આમ છતાં સાથે બાળક છે, એથી એના મનમાં ઝાંખપ લાગવા માંડે. કુંવારી માતાને તેમનો પોતાનો બાપ કે ભાઈ મળવા આવે ત્યારે તેની સામે બાળક લઈને જવાની હિંમત ન કરે. એટલું જ નહિ પણ છાવણીના કાર્યકર્તાને પોતાને બાળક છે, તેવી વાત ન કરવાની વિનંતી કરે. બિચારી કુંવારી માનું મન તેના પહેલા બાળકને અલગ કરવા માને નહીં અને પોતાને બાળક છે તેવું સંબંધીઓને કહી પણ ન શકે. રડીરડીને આંખો સુજાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરા ય અડગું ન કરે. પોતાના બાળકની બરાબર સંભાળ રાખવાની તે કાર્યકર્તાઓને કાકલૂદી કરે અને બાળક તેને ફરી જોવા મળશે કે કેમ, બાળકને ક્યાં રાખવામાં આવશે, કોણ ઉછેરશે, તેના ભણતરની વ્યવસ્થા થશે? તે મોટું થશે ત્યારે તેને તેના મા-બાપની માહિતી આપવામાં આવશે કે કેમ એવા માતાઓના અનેક પ્રશ્નોનાં ઉત્તર અમારી પાસે ન હતા.

જે માતા પોતાનાં બાળકોને પાછળ છાવણીમાં છોડીને જતી તે બાળકોની જિંદગી કેવી થતી હશે? એવાં બાળકો માટે શી વ્યવસ્થા કરાતી હતી એનો જવાબ પણ કમળાબહેન આપે છે. આવાં બાળકો માટે અમૃતસરમાં વ્યવસ્થા કરાઈ હતી. આ બાળકોને અમૃતસરમાં રાખવામાં આવતાં હતાં. જ્યાં તેમનું ધ્યાન રાખવા માટે ગૃહમાતા અને બે-ત્રણ બાળકદીઠ એક આયાની જોગવાઈ કરાઈ હતી. સાથે જ માતાપિતા વિનાના આ બાળકો માટે પારણાં, કપડાં, દૂધ અને બેબીફૂડની પણ વ્યવસ્થા કરાતી હતી. બાળકોની તમામ વ્યવસ્થા માટે મૃદુલાબહેન સારાભાઈ જાતે કાળજી રાખતાં હતાં. કમળાબહેન લખે છે કે મૃદુલાબહેન જ્યારે-જ્યારે અમૃતસર આવતાં ત્યારે-ત્યારે બાળગૃહની મુલાકાત લેતાં અને જો કોઈ ખામી તેમના ધ્યાને આવે તો તાત્કાલિક તેને દૂર કરાવતા. કમળાબહેન નોંધે છે કે, “આ પ્રકારની બધી સગવડ હતી તેમ છતાં તંદુરસ્ત બાળકો ધીમે ધીમે મૂરઝાવા લાગતાં હતાં, ટોનિક અને દવાઓ અને વિશેષ પ્રકારના ખોરાકની ગોઠવણ કરવા છતાં ગયેલી તંદુરસ્તી પાછી આવતી નહોતી. ત્યારે માની વ્હાલભરી હૂંફ બાળકની તંદૂરસ્તીમાં કેવો ભાગ ભજવે છે તે મને સમજાયું.”

આટઆટલી સગવડો છતાં જો આ વૉરબેબીઝની સ્થિતિની કલ્પના કરીએ તો સમજાય કે એ વર્ષો બાદનું પણ જીવન કેવું મુશ્કેલીભર્યું રહ્યું હશે. માતાપિતા જીવતાં હોવા છતાં અનાથ તરીકે રહેવું, એ બાળકોનાં મનમાં સ્વઓળખના પ્રશ્નો કેવા ઊભા થયા હશે, શું કદી આપણે એ દૃષ્ટિએ વિભાજનના ઇતિહાસને મૂલવ્યો છે ખરો? આ સાથે જ કેટલું પીડાભર્યુ રહ્યું હશે બાળક છોડીને આવેલી માતાનું જીવન, એનો તો અંદાજ પણ લગાવી શકાતો નથી.

આવી જ એક અત્યંત પીડાદાયક ઘટના વિશે મારે વાત કરવી છે. ભાગલા વખતે ફાટી નીકળેલાં રમખાણો વચ્ચે કેટકેટલી ય મહિલાઓએ અત્યાચારથી બચવા, પુરુષોની ક્રૂરતાથી બચવા માટે આત્મહત્યા કરવી પડી હોય એવા કિસ્સા પણ સાહિત્યમાં અને ઇતિહાસનાં પૃષ્ઠોમાં લખાયેલાં છે. ગામમાં બચી ગયેલી બધી સ્ત્રીઓ એકસાથે ગામના કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દે, એટલે કઈ હદની પરિસ્થિતિ હશે. આવો કિસ્સો ભીષ્મ સાહનીની ‘તમસ’માં પણ છે. કમળાબહેને પણ આવો કિસ્સો લખ્યો છે, તેઓ એ અરસામાં ઘણી બધી છાવણીઓમાં ગોઠવણ કરવા જતાં હતાં. જેમાં પંજાબને અડીને આવેલા મિયાવલી જિલ્લાનો આ કિસ્સો છે. કમળાબહેન નોંધે છે કે, “છાવણી માટે ગોઠવણ કરવા હું ગઈ ત્યારે મને એક કૂવો દેખાડવામાં આવ્યો હતો, જે શિયળની રક્ષા કરવા તેમાં કૂદી પડેલી સ્ત્રીઓના શબથી ભરાઈ ગયો હતો. આ કૂવામાંથી આવતી દુર્ગંધના કારણે આજુબાજુના લોકો પોતાનાં ઘરબાર છોડી ચાલ્યાં ગયાં હતાં. આ કૂવાનાં પાણીનો ઉપયોગ ઘણાં લાંબા સમય સુધી કરવામાં આવતો ન હતો.”

કમળાબહેનને એક મુસ્લિમ અધિકારી આ કૂવાવાળી જગ્યાએ લઈ જાય છે. કમળાબહેન લખે છે કે, “અધિકારીએ ગાડી ઊભી રખાવી એક કૂવો દેખાડી કહ્યું, “આ લત્તાની સંખ્યાબંધ હિંદુ સ્ત્રીઓ પોતાના શિયળની રક્ષા કરવા આ ‘ગોઝારા કૂવા’માં કૂદી પડી હતી. આખો કૂવો આવી સ્ત્રીઓની લાશોથી ભરાઈ ગયો હતો. મુંબઈ જેવા દૂરના સ્થાનેથી અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી મેળવવાના કામ માટે તમે ઠેઠ અહીં સુધી આવીને કેટકેટલાં જોખમો વહોરો છો, જ્યારે અમે પોતે જ અમારી બહેન-દીકરીનું રક્ષણ કરી શક્યાં નથી. કદાપિ સાફ ન થઈ શકે તેવી મેશ અમે અમારા મોં પર ચોપડી છે. ઇતિહાસમાં અમે કેવા ભૂંડા દેખાઈશું? વાત કરતા અધિકારીના અવાજમાં ભારે દુઃખ વર્તાતુ હતું અને આંખો ભીની થતી હતી. પોલીસના ગણવેશ નીચે દબાયેલા એક સંવેદનશીલ હૃદયની મને ઝાંખી થઈ.”

કમળાબહેનને લાગ્યું કે આ અધિકારી ઉત્તર પ્રદેશ કે બિહારથી આવેલા નિર્વાસિત હશે, એટલે તેમને હિંદુઓ પ્રત્યે આટલી સહાનુભૂતિ હશે. વાતચીતમાં સમજાયું કે તેઓ પંજાબના જ હતા. વિભાજનથી અંગત રીતે તેમને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ જે ગામમાં તેઓ ઊછર્યા હતા તે ગામના મોટાભાગના હિંદુ સમવયસ્કો તેમના બાળપણના મિત્રો હતા. જેમાંના ઘણાંને તેમણે સરહદપારની હિંદુ છાવણીઓમાં જીવના જોખમે પહોંચાડેલા. આ અધિકારીએ તેમના હિંદુ મિત્રોની કિંમતી સામગ્રી પાછી આપવા સાચવી રાખી હતી. તેમણે કહ્યું: “લગભગ બધા જ મિત્રો ચાલી ગયા પછી મારા પોતાના જ લોકોની સાથે રહેવા છતાં મને એકલવાયું લાગે છે.”

કુરુક્ષેત્રની કૉલેજના ઍસોસિયટ પ્રોફેસર ડૉ. કુસુમલતા મિયાવલી જેવો જ કિસ્સો લખે છે, રાવલપિંડીના થોહા ખાલસામાં 90 મહિલાઓએ કૂવામાં કૂદીને જીવ આપ્યો હતો અને આ સમાચાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આની પાછળ પણ ડૉ. કુસુમલતાના મતે પિતૃસત્તાક સમાજનાં મૂલ્યો જવાબદાર હતાં. ભાગલા વખતે મહિલાઓ રમખાણોનો ભોગ બની. જે રમખાણોમાં પુરુષો માત્ર માલમિલકત અને જીવ ગુમાવતા હતા. એ રમખાણોમાં મહિલાઓ જીવ, માલમિલકતની સાથે-સાથે સમાજની નજરમાં ગરિમા અને ઇજ્જત પણ ગુમાવતી હતી. મહિલાઓ પર એ રીતે અત્યાચારો થયા, જાણે એ સામેના ધર્મની વ્યક્તિની જાગીર હોય, તેને લૂંટી રહ્યા હોય અથવા તો તે બદલો લેવાનું સાધન હોય. ડૉ. કુસુમલતા સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે “એ વખતે મહિલાઓ તેમના સમુદાયમાં સંસ્કૃતિની આડમાં બંધાયેલી હતી અને એ મૂલ્યો પિતૃસત્તાક વ્યવસ્થાનાં હતાં.”

કેટલીક મહિલાઓએ આ પિતૃસત્તાક મૂલ્યોનાં કારણે પોતાનો જીવ આપ્યો, તો કેટલીક મહિલાઓને પુરુષોએ પોતાનો જીવ આપી દેવા ફરજ પાડી હતી. થોહાની ઘટનાનાં પ્રત્યક્ષદર્શી સરદાર પ્રીતપાલસિંહે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મહિલાઓ પોતાનાં બાળકોને હાથમાં લઈને કૂવામાં કૂદી રહી હતી, તેમની ચીસો અમને સંભળાતી હતી. અડધા કલાકમાં કૂવો મૃતદેહોથી ભરાઈ ગયો. મને હજુ પણ યાદ છે કે ભનસાસિંહે રડતાં-રડતાં પોતાની પત્નીને મારી નાખી હતી. થોડા જ કલાકની અંદર 25 મહિલાઓને મરતી મેં મારી નજરે જોઈ.”

કમળાબહેનની અનુભવકથા કેટલી બધી જગ્યાએ કંપાવી દે છે, આંખો ભીની કરી દે છે, ક્યાંક-ક્યાંક હેબતાવી દે છે. માણસે આચરેલી પાશવી લીલાઓ સ્તબ્ધ કરી દે છે તો સ્ત્રીઓએ ભોગવેલી યાતનાઓ વ્યથિત કરી દે છે. માણસ આવું કઈ રીતે કરી શકે? એવો પ્રશ્ન વારંવાર થાય. છેલ્લે મારે એ જ કહેવું છે કે આવી અનુભવકથા, આવા સેમિનાર, આવા પ્રશ્નો પરની ચર્ચા જરૂરી છે, કેમ કે સમાજમાં જ્યારે-જ્યારે ઊચાટનું વાતાવરણ ઊભું થાય, રમખાણો થાય, યુદ્ધોસમી પરિસ્થિતિ સર્જાય ત્યારે-ત્યારે સૌથી પહેલા સ્ત્રીઓને ભોગવવાનું આવે છે. આપણે નારીની વેદના કે સંવેદનાની પરવા કરી જ નથી, નારીઓએ પોતે પણ કરી નથી. આપણે સૌએ મિયાવલીના પેલા મુસ્લિમ અધિકારી જેટલી સંવેદના કેળવવાની જરૂર છે, કે જેનું કાળજું હિંદુ સ્ત્રીઓનાં મોત જોઈને પણ કંપી ઊઠ્યું હતું. એમના અંતરમાં છેક સુધી એ સ્ત્રીઓને ન બચાવી શકવાનો વસવસો ક્યાંક પડેલો હતો. આપણે આપણા સંવેદનોને જીવતા રાખીએ, એ વાત આપણે હંમેશાં યાદ રાખવી પડશે.

e.mail : tejal91prajapati@gmail.com

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ હેઠળ, 03 ફેબ્રુઆરી 2024ના રોજ, તેજલબહેન પ્રજાપતિની રજૂઆત]

વીડિયો: