“મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” (2 માર્ચ 2024)

(વક્તાનો પરિચય: ડૉ. બાબુ સુથાર જાણીતા વિવેચક, સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી છે. તેમણે ભારતમાં પંચમહાલ, વડોદરા અને મુંબઈમાં ભણાવ્યું છે અને એ બાદ તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. વર્તમાનમાં તેઓ અન્ય કામોની જોડાજોડ ફેસબુકના માધ્યમથી લોકશિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. બાબુ સુથારે ચલાવેલા ‘સંધિ’ નામના સામાયિકનો પડઘો આજે પણ સરસ મજાનો ખડખડ્યા કરે છે.)

મુક્ત અર્થતંત્રના જમાનામાં કવિતા

– ડૉ. બાબુ સુથાર

ડૉ. બાબુ સુથાર

ડિસેમ્બર 1989ની આ ઘટના છે, મેક્સિકન કવિ ઑક્ટોવિયો પાઝે મેક્સિકોમાં ‘ધ અધર વોઇસ’ નામનું વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે યુવાન હતો, ત્યારે કવિતાની સામે બે જોખમ હતાં. પહેલું જોખમ ટોટલિટેરિયન વિચારાધારાનું હતું (જેમાં નાઝીવાદ, સામ્યવાદ, ફાસીવાદનો સમાવેશ કરી શકાય) અને બીજું જોખમ સામાજિક પ્રતિબદ્ધતાનું હતું.” પાઝ સામાજિક પ્રતિબદ્ધતાની વાત કરતી વખતે સાર્ત્રનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે, “કદાચ લોકોએ તેમની વાતને જરા જુદી રીતે મૂકેલી અને એ કારણે પણ કદાચ આ ગેરસમજ થઈ હોય.” પાઝ આગળ વાત કરતાં કહે છે કે, “એ પછી લોકશાહી આવી, ટોટલિટેરિયન સરકારો પડી ગઈ, એને કારણે કવિતા પરનું જે ટોટલિટેરિયન જોખમ હતું એ જતું રહ્યું અથવા ઓછું થઈ ગયું, તો બીજી તરફ પ્રતિબદ્ધતાની ધાક પણ ઓછી થઈ ગઈ હતી.” જોકે પાઝના મતપ્રમાણે કવિતા સામે એક નવું જોખમ ઊભું થયું હતું અને પાઝ આ નવા જોખમને આ પ્રમાણે આ વર્ણવે છે, “ચહેરા વગરની, આત્મા વગરની અને દિશા વગરની આર્થિક પ્રક્રિયાનું જોખમ.” પાઝ અહીં બજારને કવિતા સામે ઊભું થયેલું નવું જોખમ ગણાવે છે. મારી hypothesis છે કે આ “ચહેરા વગરની, આત્મા વગરની અને દિશા વગરની આર્થિક પ્રક્રિયા” અત્યારે તેના extreme સ્વરૂપમાં કામ કરી રહી છે, અને એ extreme formને આપણે neo-liberalism એટલે કે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ. મારો પ્રશ્ન એ છે કે આ પ્રકારનું “ચહેરા વગરનું, આત્મા વગરનું અને દિશા વગરનું” અર્થતંત્ર જ્યારે natural condition બની જાય, લોકો તેને સામાન્ય ગણવા લાગે અને એવું પણ કહે કે ગરીબી દૂર કરવાનો આ જ ઉકેલ છે, ખરેખરમાં એ લોકો એની સામે ઊભી થઈ રહેલી અસમાનતાને જોતાં ન હોય, ત્યારે એ સ્થિતિમાં કયા પ્રકારની કવિતા શક્ય બને અથવા શું એ પરિસ્થિતિમાં કવિતા શક્ય બને ખરી? વર્ષો પહેલાં એડોરનોને આ પ્રશ્ન થયેલો કે Auschwitz પછી કવિતા કઈ રીતે લખી શકાય? લગભગ એવો જ પ્રશ્ન મને થાય છે કે આ પરિસ્થિતિમાં કવિતા લખવાની હોય તો એ કવિતાનું સ્વરૂપ કયા પ્રકારનું હોય?

અર્થતંત્ર અને કવિતા

કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે અર્થતંત્ર અને કવિતાની વચ્ચે શું સામ્ય હોઈ શકે? આ અંગે વિદ્વાનોએ ઘણોખરો વિમર્શ કર્યો છે. અર્થતંત્રમાં નાનામાં નાનું એકમ નાણાં હોય છે, એ જ રીતે કવિતાનું નાનામાં નાનું માધ્યમ ભાષા છે અને ભાષાનું નાનામાં નાનું માધ્યમ શબ્દ છે. ઘણા ફિલસૂફો કહે છે કે આ બંનેની વચ્ચે ઘણી સમાનતા રહેલી છે. ભાષાવિજ્ઞાની સોસ્યૂરે નિર્દેશ કરેલો કે, “શબ્દો જે છે તે તેની value (મૂલ્ય) સિસ્ટમમાંથી પ્રાપ્ત કરે છે, નહીં કે જગતને refer કરવાથી.” એ વખતે સોસ્યૂરે કહેલું કે, “ભાષા સંકેતોની વ્યવસ્થા છે.” સોસ્યૂરે એ વખતે સંકેત કહેલું આપણે એને શબ્દો કહી શકીએ. સોસ્યૂર કહે છે એ પ્રમાણે સંકેતોનાં બે પાસાં છે, signifier (સાંકેતિક) અને signified (સાંકેતિત), અને એ બંને પાસાં વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ નથી હોતો એટેલે કે તે યાદૃચ્છિક હોય છે. આ વાતને ઉદાહરણથી સમજીએ, જ્યારે હું વૃક્ષ એવો શબ્દ બોલું ત્યારે એનું જે ધ્વનિસ્વરૂપ છે (અને લખું તો તેની જોડણી) સાંકેતિક છે, જેને signifier કહેવાય. અને વૃક્ષ શબ્દ જે અર્થ સૂચવે છે, તેને સાંકેતિત (signified) કહેવાય. વિગતવાર સમજીએ તો વૃક્ષ, ઝાડ, tree અને पेड़ આ અલગ-અલગ signifier (સાંકેતિક) છે; પણ એ બધાં એક જ અર્થ કે વિભાવનાને સૂચવે છે, તે signified (સાંકેતિત) છે. જો તેની વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક ન હોત તો સમગ્ર જગતમાં એક જ ભાષા હોત અને કદાચ યાદૃચ્છિક ન હોત તો કદાચ આપણે જૂઠું પણ બોલી શકતા ન હોત, કારણકે એ સ્થિતિમાં ભાષા પ્રકૃતિ કે વાસ્તવિકતાની સાથે કાર્યકારણથી જોડાયેલી હોત. આ બાબતોને ધ્યાનમાં રાખીને ઇટાલિયન ફિલસૂફ બિફો એવો મત આપે છે કે ભાષા અને નાણાંની વચ્ચે એક સામ્ય છે. તેના જ શબ્દોમાં જોઈએ: “they are nothing and they move everything.” (નાણું હોય કે શબ્દો, એ પોતે કંઈ જ નથી પણ દરેક વસ્તુના ચલણમાં તે બંને કામ કરતાં હોય છે.) છેવટે નાણું અને શબ્દો એ બંને પ્રતીકો જ છે પણ બંનેનું મૂલ્ય જે-તે વ્યવસ્થા પ્રમાણે નિયત થાય છે, એટલે આ એક કન્વેન્શન છે. નાણું જો કુદરતી પદાર્થ હોત તો દરેક સંસ્કૃતિમાં તેનું એકસરખું જ મૂલ્ય હોત, એ જ પ્રમાણે જો ભાષા કુદરતી હોત તો દરેક સંસ્કૃતિમાં એકસરખી ભાષા હોત. એનો અર્થ એ કે ભાષા અને ચલણનું વૈવિધ્ય ન હોત.

ભાષા અને નાણાંનો ઇતિહાસ

આપણે આ બંનેનો ટૂંકો ઇતિહાસ જોઈએ તો આપણને ઘણી સામ્યતા દેખાશે. પશ્ચિમમાં ભાષાનો અભ્યાસ ભાષાવિજ્ઞાન સંદર્ભે કઈ રીતે થયો, એ જોઈએ. સોસ્યૂરે ત્રણ તબક્કાની વાત કરી છે. એ કહે છે એ પ્રમાણે એક જમાનામાં વિદ્વાનો ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરતા હતા અને વ્યાકરણને તર્કશાસ્ત્ર સાથે જોડતા હતા. અહીં આપણે નોંધવું જોઈએ કે એરિસ્ટોટલે અને ગુજરાતના આરંભના તબક્કાના વિદ્વાનોએ પણ આ પ્રમાણે તર્કશાસ્ત્ર સાથે ભાષાવિજ્ઞાનને જોડ્યું છે. એવું કહેવાતું કે જે તર્કશાસ્ત્રમાં શક્ય ન હોય, તે વ્યાકરણમાં પણ શક્ય ન હોય. એનો અર્થ એવો કાઢી શકીએ કે તર્ક એ ભાષાનો controlling power હતો, એટલે કે ભાષા તાર્કિક સત્ય (logical truth) સાથે જોડાયેલી હતી. વાક્ય સાચું છે કે ખોટું તે તેમના માટે મહત્ત્વનું ન હતું, પણ વાક્યમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું છે કે નહીં તે મહત્ત્વની બાબત હતી. એ પછી ભાષાવિજ્ઞાનના વિકાસમાં philologyનો (શબ્દાર્થશાસ્ત્રનો) તબક્કો આવ્યો, જે બીજો તબક્કો છે, જેની પરંપરા ગુજરાત અને ભારતમાં પણ મોટાપાયે જોવા મળે છે. આજે કેટલાક વિદ્વાનો એ પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. Philologyનું મુખ્ય કામ શબ્દને જગત સાથે જોડવાનું હતું, એટલે કે શબ્દનો અર્થ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તેને ભાષાની બહારના જગત સાથે એને જોડીને જોઈ શકીએ. ત્યારબાદ ભાષાવિજ્ઞાનના વિકાસમાં ત્રીજો તબક્કો તુલનાત્મક અભ્યાસનો આવ્યો, જેમાં જગતની ભાષાઓ વચ્ચે સામ્ય શું છે અને તે કયા પ્રકારનું છે એવો અભ્યાસ થવા લાગ્યો. જે ક્ષણે આપણે ભાષાનો તુલનાત્મક અભ્યાસ શરૂ કર્યો એ ક્ષણે આપણે ભાષાની સીમાઓને ઓળંગવાનું શરૂ કરી દીધું અને એના કારણે શબ્દનું જગત સાથેનું જોડાણ બદલાઈ ગયું. એ પછી આધુનિક ભાષાવિજ્ઞાન આવ્યું અને મારી દૃષ્ટિએ તે મહત્ત્વની ઘટના છે, અને એ માટે સોસ્યૂર કહે છે કે “language is system of sign” (ભાષા સંકેતોની વ્યવસ્થા છે). એનો અર્થ એવો થયો કે ભાષામાં જેટલા સંકેતો છે તે વ્યવસ્થા પર જ આધાર રાખે છે, તે ભાષા બહારના જગત પર આધારિત નથી. આ વિધાન સાથે ભાષાનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ hypothesisનો વિષય બની જાય છે અને શબ્દ એક રીતે સ્વાયત્ત બની જાય છે. ભાષાવિજ્ઞાનના ઇતિહાસનો સારાંશ એવો છે કે ભાષા તર્કમાંથી વાસ્તવિક જગત સાથે જોડાઈ અને જગતમાંથી સિસ્ટમ સાથે જોડાઈ અને એ રીતે ભાષા વધારે અમૂર્ત બનવા લાગી અને સિસ્ટમ આખી abstract બની જાય છે.

ભાષાવિજ્ઞાન જેવું જ અર્થશાસ્ત્રમાં પણ થયું, નાણાંનો ઇતિહાસ જોઈએ તો તે પણ ધીમે-ધીમે અમૂર્ત વ્યવસ્થા તરફ જાય છે. માર્ક્સેલ નામના વિદ્વાને ‘મની, લૅન્ગ્વેજ ઍન્ડ થૉટ’ નામના પુસ્તકમાં આ અંગે વિગતે ચર્ચા કરી છે. આશરે છ હજાર વર્ષ પહેલાં સાટાપદ્ધતિ હતી, જેમાં વ્યવહાર પર જરૂરિયાત (need)નું અંકુશ રહેલું હતું. એટલે કે એ વ્યવસ્થામાં માનવજાત આજની માફક ગ્રાહક (consumer) બની ન હતી. એ જરા જુદા પ્રકારનો ગ્રાહક હતો. Common era પહેલાંની સાતમી સદીમાં સિક્કાનું ચલણ આવે છે, જેમાં સિક્કાની ઉપર જે-તે સ્ટેટની મહોર વાગતી હતી. એ અર્થમાં સિક્કાનું પણ મૂલ્ય આવ્યું અને તેનું સ્ટેટ સાથે જોડાણ પણ થયું. આ તબક્કે નાણાંનો concept થોડા અંશે અમૂર્ત તરફ આગળ ધપે છે અને એ સાથે લોકોની ખરીદવાની પદ્ધતિ બદલાવા લાગે છે. વર્ષ 1020ની આસપાસ કાગળની ચલણી નોટોનો દોર આવે છે, એ પહેલાં ચામડાનું ચલણ પણ આવી ગયું હતું. કાગળનું ચલણ આવી જવાથી નાણાંનું circulation (પ્રવાહિત) સરળ બનતું ગયું અને એના કારણે તેના પર સ્ટેટનું અંકુશ પણ વધવા લાગ્યું હતું. જેના કારણે economyમાં પણ ખરીદ-વેચાણ પર ભાર મૂકાવા લાગ્યો, જે સાટાપદ્ધતિમાં ઘણું ઓછું હતું.

એની સમાંતરે બીજી એક ઘટના પણ ઘટે છે, મધ્યકાળમાં નાણાંપદ્ધતિ સોનાની સાથે સંકળાયેલી હતી પછી ધીમે-ધીમે અર્થતંત્રને વેગ આપવા માટે સોનાં સાથે નાણાંનું ડીલિંગ કરવા લાગ્યા. નાણાંનું એ જ રીતે ડીલિંગ થયું, જે રીતે ભાષામાં શબ્દોનું ડીલિંગ થઈ ગયું હતું. ઇતિહાસમાં ધીમે-ધીમે નાણું અને શબ્દ અમૂર્ત તરફ ગતિ કરતા ગયા અને હવે તો ક્રૅડિટકાર્ડનો જમાનો છે, પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જોવાનો વિષય છે. એ જ પ્રમાણે આજે ઍપલ પે અને ગૂગલ પે આવી જેવી ઍપ્લિકેશનો આવી ગઈ છે, એના કારણે નાણાંની પ્રવાહિતા વધી ગઈ અને હવે ક્ષણભરમાં પૈસા ટ્રાન્સફર થવા લાગ્યા. એક ફિલસૂફ કહે છે એમ નાણાં લગભગ ઇશ્વરની કક્ષાએ પહોંચી ગયાં છે, બંને abstract છે. આ ગતિમાં ક્રિપ્ટો કરન્સીએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બિફો કહે છે એમ આ પ્રક્રિયામાં “de-physicalisation of money” થઈ ગયું અને એટલે નાણું એટલું અમૂર્ત બની ગયું કે મૂડીવાદી વ્યવસ્થા માટે સગવડ થઈ ગઈ અને એ વ્યવસ્થા dominating બની ગઈ.

1997માં હું અમેરિકા આવ્યો અને વર્ષ 1998માં હું કંઈક ખરીદી કરવા ગયો ત્યારે મેં ડેબિટકાર્ડ આપ્યું અને પિન નંબર નાખ્યો, એ પછી હું ઘણો ઉદાસ થઈ ગયો; કેમકે મને થયું કે મેં પૈસા આપ્યા નથી અને એણે એમ છતાં લઈ લીધા. એટલે કે નોટ ગણીને પૈસા આપવાનો જે અનુભવ હતો તે આ લેવડ-દેવડની પ્રક્રિયામાંથી ક્યાંક અદૃશ્ય જ થઈ ગયો. આજના સંદર્ભે નાણું ક્યાં સર્જાય છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ આખી એક મિસ્ટરી છે. ઓસાનોમિયા (ઉચ્ચ્ચાર ખોટો. સાચું નામ: Oeconomia) નામની જર્મન ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે, એમાં જે બૅન્કરોનાં ઇન્ટરવ્યૂ લીધાં છે તેઓ કહી શકતા નથી કે બૅન્કમાં નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.

નાણાં અને શબ્દો વચ્ચેની સામ્યતા

તો નાણાં અને શબ્દો વચ્ચે આ સામ્યતા છે, બંનેનાં સ્વરૂપ બદલાતાં ગયાં અને એક તબક્કે સિસ્ટમનો ભાગ બની ગયાં. નાણાંને બને એટલા સ્વાયત્ત બનાવવાં જોથી તેની લેવડદેવડ સરળ બની શકે, એ મુક્ત અર્થતંત્રનો પહેલો ધ્યેય હતો. એક ફિલ્મમાં (Bamako, Diretor: Abderrahmane Sissako) વિશ્વ બૅન્કના માણસોને બેસાડ્યા છે અને એમાં એક લેખિકા તેમને પ્રશ્ન પૂછે છે કે. “તમારી બૅન્કમાં અમારા દેશનાં નાણાં આવે, ત્યારે તમે એની પાસે વિઝા માગો છો ખરા?” તો વિશ્વ બૅન્કના પ્રતિનિધિ કહે છે કે, “ના, નથી માગતા.” તો લેખિકા પૂછે છે કે, “તો માણસ પાસે વિઝા કેમ માગો છો?” અહીં દલીલ એવી છે કે નાણાંની લેવડ-દેવડ નિયંત્રણ વગર થાય છે, તેની પર સ્ટેટનું નિયંત્રણ છે તેની લેવડ-દેવડમાં બીજાં ઝાઝાં નિયંત્રણો નથી. એથી જ એ સિસ્ટમને પ્રભાવિત કરવી શક્ય છે અને મોટાભાગની આર્થિક મંદીમાં એવું જ થયું છે, જેની કિંમત આપણે ચૂકવી છે. આ આખી પ્રક્રિયામાં તાત્ત્વિક રીતે એવું થયું કે જે બાહ્ય જગત સાથેનો referent હતો તે અદૃશ્ય થઈ ગયો અને એનું સ્થાન used valueએ લઈ લીધું છે. એટલે હવે, શબ્દ સત્ય પ્રગટ કરે છે કે નહીં તે પ્રશ્ન મહત્ત્વનો રહ્યો નથી; એના બદલે શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે પ્રશ્ન મહત્ત્વનો બની ગયો છે. એટલે કે અર્થતંત્ર અને ભાષા બંનેનાં નાનામાં નાનાં એકમોનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કપાઈ ગયો અને તે abstract બની ગયાં.

વાનરમાંથી માણસ બનવાની પ્રક્રિયાને ઉત્ક્રાંતિના ક્રમમાં મહત્ત્વની ગણવામાં આવે છે, એ જ રીતે નાણાંનું અમૂર્તિકરણ પણ મહત્ત્વની ઘટના છે. આ બંને ઘટના પર હું એકસરખો ભાર આપું છું. જો નાણાં અને શબ્દો સ્વાયત્ત હોય અને તેનું મૂલ્ય જગત પર આધાર ન રાખતું હોય તો કાવ્ય કઈ રીતે શક્ય બને? અથવા તો કયા પ્રકારની કવિતા શક્ય બને? પ્રતીકવાદી કવિતાનો સંદર્ભ લઈને આ વાતને સમજીએ. પ્રતીકવાદી કવિતામાં પણ કવિતા બાહ્યજગત પર આધારિત હતી. ઉદાહરણ તરીકે કવિતામાં આપણે કવિતામાં સાપને પ્રતીક તરીકે નિરુપીએ તો સાપનો સંદર્ભ કંઈક જુદો હોઈ શકે પણ જો સંદર્ભ જ નહીં રહે તો પ્રતીકવાદી કવિતાઓ જતી રહેશે, ઇમેજવાળી કવિતાઓ પણ જતી રહેશે અને એક જુદા જ પ્રકારની કવિતા આપણી સામે આવીને ઊભી રહેશે. ફિલસૂફ બોદ્રિયાર્ડ કહે છે કે જેવું અર્થતંત્રમાં બન્યું, એવું જ ભાષામાં પણ બન્યું છે. એ કહે છે કે, “ભાષા એ માહિતીનું સંક્રમણ કરવા માંડી છે, જે પહેલાં પ્રતીક કે aestheticsનું સંક્રમણ કરતી હતી તે હવે માહિતીનું સંક્રમણ કરે છે.” વર્તમાન સમયમાં દુનિયાની મોટાભાગની ભાષાઓ માહિતીનું વહન કરે છે, કદાચ 10 ટકા જ ભાષા એવી હશે જેમાં માહિતીનું વહન ઓછું હશે. એથી હવે કવિતા પણ માહિતી આપતી થઈ ગઈ અને એ પર્ફૉર્મન્સ બની ગઈ. એનો અર્થ એવો થયો કે હું હવે કોઈ કાવ્ય લખું તો એ કયો રસાનુભવ કરાવે છે અથવા તે ચેતનાનો વિસ્તાર કરે છે કે કેમ તે પ્રશ્નનું મહત્ત્વ રહ્યું નથી; મહત્ત્વનું એ છે કે તે કાવ્ય માહિતીનું આદાનપ્રદાન કરે છે નહીં.

ગુજરાતી આધુનિક કવિતા સામેના બે પડકારો

પાઝે કહેલું એમ તે યુવાન હતા ત્યારે કવિતાની સામે બે પડકારો હતા, હવે હું એ જ સંદર્ભે મારી વાત કરું છું. જ્યારે કવિતા લખવાની શરુઆત કરી ત્યારે મારી નજરે પણ બે જોખમ હતા, એમાંથી પહેલું જોખમ ઔદ્યોગિકરણનું હતું. આધુનિકયુગમાં સામાજિક, આર્થિક અને બીજી સમસ્યાઓને ઉકેલવા માટે સમાજ ઉદ્યોગ તરફ વળ્યો અને ઉદ્યોગોએ આપણને મદદ પણ કરી એ પણ હકીકત છે. જોકે ઉદ્યોગોની સાથે બે બાબતો જોડાયેલી હતી અને એ હતી production અને consumption, અને એ logicની અસર કવિતા પર પણ વર્તાવા લાગી. જેથી કવિતા પણ એક product બની અને એવી શરત લાગુ થઈ કે તેનો પણ consumer હોવો જોઈએ. મારી નજરે એ વખતે કવિતા પરનું બીજું જોખમ સમાજવાદી લોકશાહીનું હતું અને એ લોકશાહી એવી માગ કરેલી કે ‘speak for those who cannot speak’ (જે લોકોનો અવાજ દબાયેલો છે, તેમનો અવાજ બનો). એટલે કે એ વખતે મારી સમક્ષ ગુજરાતીમાં બે પ્રકારના આધુનિકતાવાદ હતા. એક હતો વાસ્તવવાદની વાત કરતો mild nature ધરાવતો આધુનિકતાવાદ, જેમાં રઘુવીર ચૌધરી, રમણલલા દેસાઈ અને અન્ય સર્જકોને સમાવી શકીએ. જ્યારે બીજો આધુનિકતાવાદ આકારવાદના પ્રભાવવાળો હતો. એ દરમિયાન બીજી બે મહત્ત્વની ઘટના ઘટી, એક તરફ મુક્ત અર્થતંત્ર આવ્યું અને બીજી તરફ ડિજિટલ ટેકનૉલૉજી આવી અને ત્રીજી ઘટના તેમાં હિંદુત્વની રાજકીય વિચારધારાની પણ ઉમેરાઈ ગઈ હતી. નવ્ય અર્થતંત્ર કૉંગ્રેસના વખતથી શરૂ થઈ ગયું હતું અને ભાજપના આવ્યા બાદ તેમાં એક પ્રકારની ગતિ આવી ગઈ, જેની પર હું ભાર મૂકવા માગું છું. એની સમાંતરે કામની વિભાવના પણ બદલાઈ ગઈ અને લોકો cognitive labour વધારે કરવા લાગ્યા છે. જોકે ભારતમાં હજી પરિસ્થિતિ થોડી જુદી છે, ત્યાં cognitive અને non-cognitive એમ બંને પ્રકારનો શ્રમ લોકો કરે છે. મૂળ વાત એમ છે કે મૂડીવાદી વ્યવસ્થા cognitive labourને વધારે પ્રાધાન્ય આપે છે. ફિલસૂફ આંદ્રે ગોર્ઝ કહે છે એ પ્રમાણે material labour હવે immaterial labourમાં પરિવર્તિત થવા લાગ્યું હતું. એટલે કે નાણાં અને ભાષાની જેમ જ શ્રમ પણ અમૂર્ત બન્યો. એટલે કે જે લોકો કમ્પ્યૂટર પર algorithm લખતા હોય છે તે એક પ્રકારે અમૂર્ત જ કામ છે, એથી તેમની માટે કામ એ એક abstract વસ્તુ બની જાય છે. આ બધાં પરિબળોને કારણે ભારત પણ post-industrial સમાજમાં પ્રવેશી ગયું; જેના કારણે વસ્તુઓનું mass production વધવા પામ્યું અને મીડિયાનું પ્રભુત્વ વધી ગયું અને હવે એમાં સોશિયલ મીડિયા પણ છે. આથી જીવનની વિભાવના પણ બદલાઈ ગઈ અને એને ફિલસૂફ ગાય દેબોર્ડના મત પ્રમાણે સમજી શકીએ. તે કહે છે એ પ્રમાણે જીવન ‘immense accumulation of spectacles’ બની ગયું. એટલે દેખાડાનો જમાનો આવ્યો, જે દેખાડા ન કરે એ ટકી ન શકે. અંબાજી મંદિરનું શિખર જો સોનાનું બનાવે તો તે દેખાડાની દુનિયામાં પ્રવેશે અને તો જ તેનું અસ્તિત્વ ટકી રહે. તો પહેલાંના યુગમાં આપણે જે કંઈ પણ સીધા અનુભવતા હતા એ બધાનું આપણે image અને શબ્દમાં representation કરવા લાગ્યા, એટલે મૂળ વાત એ છે કે શબ્દ પણ image બની ગયો. ફિલસૂફ ફ્લસર ‘ડઝ રાઇટિંગ હેવ અ ફ્યૂચર?’ પુસ્તકમાં લખે છે કે પરંપરાગત અર્થમાં હવે ભાષાનું કોઈ ભાવિ રહ્યું નથી. પરંપરાગત અર્થમાં લખતી વખતે આપણે વાસ્તવિક જગતમાંથી કંઈક represent કરતા હતા પણ હવે representationનું સ્થાન compositionએ લઈ લીધું છે. જેના કારણે સત્યની crisis સર્જાઈ ગઈ, એવું કેટલાક વિદ્વાનો હવે કહે છે.

ગુજરાતી કવિતા પર મુક્ત અર્થતંત્રનો પ્રભાવ

હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે, એનો ગુજરાતી કવિતા પર પ્રભાવ પડ્યો છે. અત્યારે જે મોટાભાગની કવિતા લખાય છે તે રસાનુભવ કરાવતી નથી કેમ કે તેમાં પ્રત્યાયન નથી, એ માત્ર પર્ફૉર્મન્સ છે. કવિતા પર્ફૉર્મન્સ બની જાય છે, ત્યારે તેમાંથી representationની વાત પણ જતી રહે છે. 19મી સદીના રશિયન કવિ તર્જનેવનું એક ગદ્યકાવ્ય મને આ સંદર્ભે ઉપયોગી જણાય છે. જેમાં એક નગરની વાત છે, એ નગરના લોકોને રોજ કવિતા સાંભળવાની ટેવ છે. રોજ સાંજે નગરચોકમાં લોકો જાય અને ત્યાં કવિ કવિતા વાંચે અને લોકો તે સાંભળે અને પછી પાછા પોતપોતાનાં ઘરે જાય, પણ એક વખત અઠવાડિયા સુધી કોઈ કવિ આવતો નથી. થોડા દિવસ પછી એક કવિ આવે છે અને કાવ્ય વાંચવાનું શરૂ કરે છે, લોકોને એ કાવ્ય નથી ગમતું અને લોકો અને કવિ પોતપોતાનાં ઘરે જવા લાગે છે. એ દરમિયાન બીજો કવિ ત્યાં નગરચોકમાં પોતાનું કાવ્યા વાંચવા લાગે છે અને લોકો પાછા ભેગા થયા અને ત્યાં વાહ વાહ કરવા લાગ્યા. જે કવિની કવિતા લોકોને નહોતી ગમી, તે પણ ત્યાં ઊભો રહે છે અને જુએ છે કે પેલો કવિ એની જ કવિતા રજૂ કરી રહ્યો હતો પણ એને પર્ફૉર્મન્સની ફાવટ હતી એટલે લોકોને તેની કવિતાની રજૂઆત ગમી હતી. આ વાત આજના સંદર્ભે એટલી જ સાંપ્રત છે, કવિતા એ પર્ફૉર્મન્સ બની ગઈ છે. આપણી ત્યાં લિટરેચર ફેસ્ટિલ અને મુશાયરા થાય છે, તો ફેસબુક અને ઝૂમ પર કવિતાના કાર્યક્રમો થાય છે. આ બધું જ દર્શાવે છે કે કવિતા એ પર્ફૉર્મન્સ બની ગઈ છે. એટલે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કાર્યક્રમોમાં કવિતાનો રસાનુભવ થઈ રહ્યો છે કે પર્ફૉર્મન્સનો થઈ રહ્યો છે. ગુજરાતી કવિતાવિશ્વની પરિસ્થિતિ એવી છે કે કવિઓના પહેરવેશ નક્કી થઈ ગયા છે અને જે કાવ્યોને બાપુઓના કે બાવાઓના આશીર્વાદ ન મળે, એ કાવ્યો પણ હવે ઊંચા દરજ્જાના ગણાતાં નથી. વિવેચકો પણ હવે બાપુઓ અને બાવાઓનો ઉલ્લેખ કરતા થઈ ગયા છે. મને પણ આવો જ એક અનુભવ થયો, મુંબઈના એક ભાઈ જે અમદાવાદમાં યોજાતા લિટરેચર ફેસ્ટિવલ સાથે જોડાયેલા હતા એમણે મને આમંત્રણ આપ્યું હતું. મેં આમંત્રણ સ્વીકાર્યું કે હું વડોદરામાં જ છું, એટલે હું આવી જઈશ. જો કે મારા મનમાં જે હતું એવું જ થયું, મને આયોજકો તરફથી આમંત્રણ ન મળ્યું. એનું કારણ એવું છે કે જે જમણેરી નથી અને જે મોદીની ટીકા કરે છે, એમને આ આયોજકો બોલાવતા નથી. એ ફેસ્ટિવલના પ્રચારમાં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલનાં મોટાં-મોટાં ફોટોગ્રાફ્સ હતા પણ સાહિત્યની વાત ક્યાંય દેખાય નહીં. હું આમાં કોઈની ટીકા કરવા નથી માગતો પણ આ હાલની પરિસ્થિતિ છે અને હું માનું છું કે નવ્ય બજારની ગતિવિધિના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. પર્ફૉર્મન્સના કારણે અર્થઘટનની શક્યતાઓ પણ જતી રહી છે, તમે કાવ્યનું અર્થઘટન ત્યારે જ કરી શકો જ્યારે તે વાસ્તવિકતા સાથે જોડાયેલું હોય. જો તમારે તેના structure વિશે જ વાત કરવાની હોય તો પછી એ structuralism છે અને એની માટે structuralismનો પ્રવાહ પણ જવાબદાર છે. એટલે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કવિતાને આપણે તપાસીએ તો કવિ આપણને એમ કહે કે તમે તેમાં અર્થ, ભાષા કે વ્યાકરણને રહેવા દો, તમે એ જુઓ કે અમારી સંવેદના બરાબર પ્રગટ થાય છે કે નહીં. એક કવયિત્રી મને મળવા આવેલાં અને એમણે મને કાવ્ય જોવા આપ્યું હતું, એમાં મેં તેમને કેટલાક વ્યાકરણદોષ બતાવ્યા હતા. તો તેમણે મને જવાબ વાળ્યો કે ફેસબુક પર આ કવિતા મૂકે છે અને મને 400 લાઇક મળી છે. એટલે કે કવિતામાં હવે 400 લાઇક એક critique કરતાં મહત્ત્વની બાબત બની ગઈ છે. કવિતા એક પ્રકારની consumer item બની ગઈ અને લાઇક્સ એ તના consumptionનું માપદંડ બની ગઈ છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે કવિતા એક જુદું સ્વરૂપ છે એટલે આ સ્વરૂપને ઉપભોગના સાધન તરીકે ન જોવું જોઈએ, કેમકે ઉપભોગ કરતી વખતે ઉપભોગનું સાધન destroy થઈ જતું હોય છે. હું એ દલીલને સ્વીકારતો નથી કેમકે જ્યારે હું એક કાવ્ય વાંચું છે ત્યારે તે એક કાવ્ય નથી, ત્યારે તે અનેક કાવ્યોનો એક સમૂહ હોય છે અને હું માનું છું કે એ વાંચતી વખતે એ સમૂહમાંથી એક કાવ્ય ચોક્કસ મરી જતું હોય છે. વાત મૂળે એમ છે કે ભાષા જ્યારે વાસ્તવિક જગત સાથે જોડાયેલી ન હોય અને તે વ્યવસ્થા સાથે જોડાયેલી હોય તો ત્યારે કવિતામાં acceleration વધી જાય છે. નાણાંનો વિનિમય real-timeમાં થવા લાગ્યો, એક ક્લિકની મદદથી આજે પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં જમા થઈ જાય છે, એ જ પ્રમાણે કવિ સંમેલનો, મુશાયરા કે લિટરેચર ફેસ્ટિવલમાં કાવ્યનો અનુભવ પણ real-time થવા લાગ્યો છે, એની સામે કવિતા એટલી વંચાતી નથી. એનો અર્થ કે કવિતાના consumptionની પદ્ધતિ આખી બદલાઈ ગઈ છે.

‘ઊતરતાં ભજિયાં અને ઊતરતાં કાવ્યો’ની સંસ્કૃતિ

ગુજરાતનાં બજારોમાં આપણે હવે જોઈએ છીએ કે લાઇવ સોડા અને લાઇવ ઢોકળાં મળે છે, એમાં production અને consumptionના સમય વચ્ચે ઝાઝું અંતર નથી, આ પણ મુક્ત અર્થતંત્રની એક લાક્ષણિકતા છે. જેની મદદથી consumptionનું acceleration થઈ રહ્યું છે. એવું જ સાહિત્યમાં પણ થઈ રહ્યું છે, કવિ કે ભાવક કાવ્ય વાંચે ત્યારે કાવ્ય તરત જ સમજાઈ જવું જોઈએ. એક સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ અર્થવિલંબનની વાત કરી છે અને જ્યારે હું કાવ્યો લખવાની શરુઆત કરી રહ્યો હતો ત્યારે અર્થવિલંબનનો ઘણો મહિમા હતો. મુક્ત અર્થતંત્રના પગલે કવિતામાં અર્થવિલંબન પણ ઓછું થવા લાગ્યું છે, એટલે હવે કવિતા પિઝા સ્લાઇસની લગભગ સમકક્ષ પહોંચી ગઈ છે. એથી હવે સામાયિકો અને કાવ્યસંગ્રહો પણ દેખાડાના પ્રવાહમાં તણાતાં જોવા મળે છે, એક જ કાવ્યસંગ્રહના અનેક વખત વિમોચનના કાર્યક્રમો યોજાય અને પાંચ-સાત લોકો એક જ સંગ્રહની પ્રસ્તાવના લખે છે, આ મુક્ત અર્થતંત્રની જ અસર છે. બીજી તરફ સોશિયલ મીડિયાએ પણ accelerationને ઉત્તેજન આપ્યું છે. મુક્ત અર્થતંત્રના કારણે ઊતરતાં ભજિયાંની જેમ ઊતરતાં કાવ્યોની સંસ્કૃતિ આવી ગઈ છે, જેની વાસ્તવિક જગત સાથે કોઈ સંબંધ નથી. ફિલસૂફ બિફોની વાતને અહીં ટાંકીએ, તે કહે છે કે નાણાં અને પૈસાની વચ્ચે ઘણી બધી સામ્યતા છે, પણ એક ફેર એવો છે કે નાણાંમાં exchangeability છે અને ભાષામાં non-exchangeability છે. હું બિફોના આ મત સાથે સંમત નથી, કવિતામાં ભાષા વિનિમયનું કામ નથી કરતી પણ જેમ અર્થતંત્રમાં નાણાં પ્રત્યક્ષ ઉપભોગનું સાધન નથી પણ લખાતી ભાષા એ ઉપભોગનું સાધન બની ગઈ છે. મજાની વાત એ છે કે ગમે તેટલો ઉપયોગ કરો તો પણ એ ભાષા ખૂટતી નથી. આમ છતાં જ્યારે તમે એક ટેક્સ્ટ વાંચો છો ત્યારે તમે એક ટેક્સ્ટ કન્ઝ્યૂમ કરો છો અને બીજી ટેક્સ્ટ વાંચો છો ત્યારે તમે બીજી ટેક્સ્ટ કન્ઝ્યૂમ કરો છો.

અંતે જો આ આખી ચર્ચાનો સાર બાંધીએ તો મને પણ ઑક્ટોવિયો પાઝ જેવા જ પ્રશ્નો થાય છે, કેમકે આજની પરિસ્થિતિ એવી છે જેમાં acceleration છે, કાવ્ય consumable બને એ માટે સ્વાયત્ત છે, અને આ પરિસ્થિતિમાં જે કાવ્યો લખાય છે તે પર્ફૉર્મન્સ આધારિત ટેક્સ્ટ છે. મુક્ત અર્થતંત્રમાં abstraction અને exploitation જે રીતે વધવા માંડ્યું છે, એ જ રીતે કવિતા પણ વાસ્તવિક જગતથી વિખૂટી પડીને ઉપભોગનું સાધન બનવા માંડી છે.

(યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની ‘કાવ્યચર્યા’ બેઠક અંતર્ગત, 02 માર્ચ 2024ના રોજડૉબાબુ સુથારની રજૂઆત)

લિપિયન્તર સૌજન્ય : પાર્થ પંડ્યા

વીડિયો: