ગાંધીજીના નરસિંહ મહેતા: વૈષ્ણવજન અને હરિજન

લૅટ્સ ઝૂઉઉઉઉઉઉઉમ- વાર્તા-વર્તુળ (જૂન 2013) બેઠકનો લલિત અહેવાલ

અમેરિકાથી પધારેલા શ્રી ભરત ભટ્ટ અને શ્રીમતી નીલિમા શુક્લ ભટ્ટના સાનિધ્યમાં, ‘વાર્તા વર્તુળ’ની આજની બેઠકમાં અગવડો વેઠીને ય પધારેલા સહુનું સ્વાગત કરતાં સંચાલક વિપુલ કલ્યાણીના ચહેરા પર વરસેલો છાનો હરખ માણવા કૅમેરો સ્હેજ ઝૂમ કરવો પડશે.

યસ. હવે બરાબર ઝીલાય છે, એમની આંખ પકડું .. ઓહો … એમાં દેખાય છે આ બેઠકબંકાઓ .. પહેલાં રૂપમઢ્યું નારીવૃંદ .. ભદ્રા વડગામા, હંસા પુરોહિત, શશી પટેલ …. હવે દોસ્તો, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ગવર નથ્થુ, મહેન્દ્ર દેસાઈ, બાબુભાઈ સિકોતરા, સુભાષભાઈ દેસાઈ, પિંડોરિયાજી અને આ ક્ષણે ચહેરો ઉપસે કિન્તુ નામ ન પરખાય એ સહુ.

આવકારની વાણીના મોજા પર સવાર હિમાંશી શેલતની વાર્તા, ‘સાતમા આસમનની ભોંય’ પરના મહેન્દ્ર દેસાઈના રસદર્શન પછી સહુ સ્તબધ છે. શશીબહેન બારી બહાર–અંદર  જોતાં  વિચારે છે, પુરુષોની પરંપરાગત ચલી આવતી આપખુદી અને સ્ત્રીએ વેઠવી પડતી પીડા. અમનો ચિત્કાર ભદ્રા વડગામાના તંગ ચહેરા પર જોઉં છું. લેટસ ક્લિક ધેટ. રમણભાઈના ચહેરા પર અકળામણ તરવરે છે વાર્તામાં પમાતાં ભવાઈના સ્તરગત પરિવર્તનો .. કોઈને મન છે અભિમાનની ટક્કર, તો કોઈ હાથ ઊંચકી, મુઠ્ઠી વાળી વ્યકત કરે છે, રિયાલીટી શૉઝની જનમાનસ પર અસર, બદલાતાં મૂલ્યો અને ધ્રુજતું કૌટુંબિક જીવન.

કેમૅરો બાજુએ રાખી, હવે ભદ્રા વડગામાની વાર્તા ‘ચકરાવોની વાત કરું. આ વાર્તામાં લેખિકાએ જે કાળ સદૃશીકરણ અને જક્સટાપૉઝિશન (એકબીજાની પાસે મૂકવું)  રચ્યું છે એ કાબિલેદાદ છે. એમણે આત્મકથાનાત્મક લાગતી વાતને જે કલાત્મકતાથી મૂકી છે, ઉપરાંત જે સંદર્ભો અને ઇંગિતો રચ્યાં છે, એ વાર્તા રસ ને ઉપકારક બને છે. સહુને આ વાર્તા ગમી અને સહુએ પ્રમાણી.

આ એ એમની ઘડાયેલી સમજ અને સર્જનનો નમૂનો છે. કોણ બોલ્યું ? સંચાલક વિપુલ કલ્યાણી ઓફકોર્સ. સાથોસાથ એમણે આ સમગ્ર પરિવર્તન પાછળના પરિબળને સ્પષટ કરતાં કહ્યુ, ‘વાર્તાની નિખાલસ ચર્ચા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજી, વાર્તા પર વધુ ધ્યાન આપી, ફરીથી સર્જન તપાસવાની, વાર્તાકારની તૈયારીનું આ પરિણામ છે.’ વળી અગાઉના વાર્તા વર્તુળના સંચાલકો .. પોપટલાલ પંચાલ, મનેશચંદ્ર કંસારા, વલ્લભનાંઢા, અને અનિલ વ્યાસના પ્રયાસોની ઉપયોગિતા અને અસરની નોંધ અંકે કરી અતિથિ વિશેષને નિમંત્ર્યા. હવે કેમૅરા .. રોલ … એકશન. ‘આવો, ભરતભાઈ’. (ઈટ ઈઝ જસ્ટ અ વેલકમ જેશ્ચર ઓન્લી, ભદ્રાબે’ન. નોટ અ મેલ ડોમીનન્સ એટઓલ.)

ભરત ભટ્ટના ઝૂમ લૅન્સમાં દેખાતા ચહેરા પર ચિંતા હતી ગુજરાતી ભાષાની. અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અન્ય ભાષાઓના લેકચરર હોય, એ ભાષા માટે ભંડોળ ઊભું થયું હોય, ત્યારે આપણી ભાષાની ખેવના તરફે આવી ઉદાસીનતા? આપણાં બાળકો અમુક અક્ષરો ઓળખતા નથી. સુભાષ દેસાઈથી ન રહેવાયું, ચહેરો આટલો રાતોચોળ ? ઝૂમ હટાવી જોઉં સઘળા ચહેરા સરખા ચિંતિત.

આપણા સંતાનો હવે મોબાઈલ વાપરે છે ફેસબુક કે ઓરકુટ કે કોઈ એપ્સ વાપરી ચૅટ (વાતો, હોં ભઈ.) કરે ત્યારે અંગ્રેજીમાં ગુજરાતી લખે. હવે આપણા ળ, ક્ષ, જ્ઞ અક્ષરો અંગ્રજીમાં જુદા છે. આ ળ તો છે જ નહિ. એટલે ‘મળ્યા’ કહેવું હોય ત્યાં લખવું પડે .. Malya. આ મલ્યા, મલીશું  લખતા આપણાં સંતાનોને ‘ળ’ ની ખબર જ નથી. હા સુભાષ ભાઈ. તમારા નામમાં વપરાતો ‘ષ’ પણ એવો અઘરો જ છે, એમના માટે. એમને ષટ્કોણ એટલે  Hexagon.

એની વૅ, ભરતભાઈ તરફ ફરું. બીજી બાજુ એ ચિંતા કરે છે સર્જાતા સાહિત્યના સ્તર અને ગુણવત્તાની. કહે, ગુજરાતમાં આપણું સાહિત્ય કેમ નથી લેખામાં લેવાતું ? નિમંત્રણ મેળવી અમેરિકા ફરવા આવતા ગુજરાતના દિગ્ગજ સાહિત્યકારો આપણાં સર્જનના કેવા કેવા વખાણ કરે છે ? (વાહ, અમારે બ્રિટનમાં આવીને ય એ જ વાત કરે છે, મોટાભાગના આમંત્રિત સ્વદેશી સર્જકો. કેવું સરસ!)  ત્રીજી વાત … ડાયસ્પોરાનું સાહિત્ય કેમ વતનઝુરાપાની બહાર આવતું નથી ? (અલ્યા ભઈ, માટીની આ કાયાને એમ કંઈ માટીની માયા છૂટે ?) તરત સભામાં ગરમાટો આવી ગયો. સહુએ ખાસ્સી ચર્ચા કરી અને ગંભીરતા પિછાણી, ખસૂસ નક્કી પણ કર્યું જાગતિક રહેવાનું.

સાઉથ એશિયન રિલીજિયન પર વિદ્યા વાચસ્પતિ થયેલાં નીલિમા શુકલ–ભટ્ટને  લેન્સ કુમારે તો આગળ વધી સલામ કરી; હું શું કરી શકું ફૉકસ એડજેસ્ટ કરવા સિવાય ? અમેરિકાની વૅલેસ્લી કોલેજમાં પ્રાદ્યાપિકા તરીકે ધર્મની ખેવના કરતાં કરતાં એમણે ગાંધી યુગીન કાવ્યો મુખ્યત્વે સત્યાગ્રહ સંબધે “ઓપીનિયન”માં પ્રગટ થયેલાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીના અત્યંત પ્રિય પદ ‘વૈષ્ણવ જન તો તેને કહિયે ..’ વિષે વિગતે વાત કરતાં, એ અસ્પૃશ્યતા અને ગાંધીજીનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વર્ષોથી એક માનવ સમૂહને કરેલા અન્યાયનું પ્રાયશ્ચિત, અસ્પૃશયતા નિવારણ અને ગાંધીજીએ હરિજન શબ્દની કરેલ પસંદગી, અને તે સમયના અને આજના વ્યાપક પ્રતિભાવની ખાસ્સી િવિચારશીલ ચર્ચામાં કેમેરો બાજુએ રાખી હું ય જોતરાયો. હું જે સમજ્યો છું એ કે અછૂત, અસ્પૃશ્ય,  દલિત …. આ શબ્દો ગાંધીજીને ન ગમ્યા, એના મૂળમાં સંભવત: એ વાત હોવી જોઈએ કે આ શબ્દો વર્તણૂક સૂચક છે. ક્યાંક છાનો ઈશારો છે. એને ન અડાય કેમ કે એ આ છે. બીજું ગાંધીજી સત્યાગ્રહના માર્ગે સહુને સાથે રાખી ઝઝૂમવાના આગ્રહી હતા, પશ્ચાતાપ કરતાં એકતા, સમભાવ અને સહવાસ જોડાયેલાં સમજવા.

નીલિમાબહેન શુક્લ ભટ્ટના વક્તવ્ય ‘ગાંધીજીના નરસિંહ મહેતા: વૈષ્ણવજન અને હરિજન’ નો ઑડિયો: 

ફરી કેમેરો લઈ, પાછલા પગે જોઉં છું. હરખભર્યા મોં, હસતા હોઠ, છલકાતો ઉમંગ.

આ હોંશ અને ઉલ્લાસ કાયમ રાખું ખર્..ર્.. ર્..ર્..ખટ ….

અનિલભાઈ વ્યાસ
2 જૂન 2013

***

છબિ ઝલક